મોરબી : વન અને આદિજાતિ વિકાસ રાજયમંત્રી રમણલાલ પાટકરે આજરોજ હળવદ તાલુકાના કવાડિયા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલાં મોરબી જિલ્લાના “મિશન વિદ્યા” અભિયાન કાર્યક્રમનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા ધો-૬ થી ૮ ના અભ્યાસમાં નબળા બાળકોને ’’ પ્રીય’’ બાળક એવું નામ આપવામાં આવ્યું છે તથા આવા પ્રિય બાળકોને તા.૨૬ જુલાઇ થી ૩૧ ઓગષ્ટ-૨૦૧૮ સુધી વાંચન-લેખન-ગણન પ્રવૃતિઓ પાછળ એક-એક કલાક ફાળવી અન્ય બાળકોની હરોળમાં લાવવાસના પ્રયાસ રૂપે મોરબી જિલ્લામાં ’’મિશનવિદ્યા’’ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. આ તકે તેમણે જણાવ્યું કે, રાજય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો યોજી ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવામાં આવ્યો છે. ત્યારે બાળકો સ્કુલમાં સતત હાજર રહે તે માટે વાલીઓ તથા શિક્ષકો વધુ જાગૃત બને. આ પ્રસંગે વન અને આદિજાતિ વિકાસ રાજયમંત્રી રમણલાલ પાટકરે ધો-૬ થી ૮ ના પ્રિય બાળકો સાથે વાતો ગોષ્ઠી કરી હતી અને મંત્રીશ્રીના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર આર.જે.માકડીયાએ પ્રસંગોચિત પ્રવચનમાં રાજય સરકાર દ્વારા શરૂ કરાયેલ ’’મિશનવિદ્યા’’ અભિયાનની રૂપરેખા આપી પ્રિય બાળકોને અન્ય બાળકોની હરોળમાં મુકવાના અભિયાનને આવકાર્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા, પૂર્વમંત્રી જયંતિભાઇ કવાડીયા, એસ.ટી.નિગમના ડાયરેકટર બિપીનભાઇ દવે, જિલ્લા શિક્ષણાધિકારી બી.એન.દવે, નાયબ વન સંરક્ષક એમ.એમ.ભાલોડી, મામલતદાર સોલંકી, ઇ.ચાર્જ તા.વિ.અધિકારી એરવાડીયા, સરપંચ વાલજીભાઇ ચારોલા, મહેશભાઇ ભટ્ટ તથા શિક્ષકો-બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતાં.