મહેન્દ્રનગર - ઇન્દીરાનગરના સરપંચ અને અન્ય સભ્યો વિરુદ્ધ ફોજદારી ફરિયાદ મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામમાં ઇન્દીરાનગર વિસ્તારમાં સરપંચ અને સભ્યોએ મિલીભગત આચરી બાવળ કાપવાના ખોટા બિલ બનાવી રૂ. ૮૭ હજારની સરકારી નાણાંની ઉચાપત કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઇન્દીરાનગર ગામના રહેવાસી દિનેશભાઈ નાનજીભાઈ મકવાણાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી સરપંચ હેતલબેન નરેન્દ્રભાઈ મુછડિયા તથા સભ્યો અશ્વિનભાઈ અંબારામભાઈ બોપલીયા, રાજેશ મનસુખ શેરશીયા, દક્ષાબેન જયસુખભાઈ સંઘાણી, હંસાબેન જયંતીભાઈ ભાટિયા, અશ્વિનભાઈ નાનજીભાઈ દેત્રોજા, મધુબેન જશમતભાઈ સનાવડા નામના આરોપીઓ વિરુદ્ધ મહેન્દ્રનગર ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યનો હોદો ધરાવતા હોય તમામેં સાથે મળી બાવળ કાપવાના નામે ખોટા વાવચર બનાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વધુમાં ઇન્દીરાનગર વિસ્તારમાં બાવળ કાપવાની કામગીરી કરાવ્યા દરમિયાન નાણાની ચુકવણીમાં રોકડા રૂપિયા વાઉચરમાં દર્શાવી કોઈની સહી લીધી હોય ન હોવાનું તેમજ રોજમેળમાં પણ સહી નહિ કરીને નાણા લેનારની સહી કે અંગુઠાનું નિશાન નહિ લઈને વાઉચરમાં ગ્રામ પંચાયતનું રાઉન્ડ સીલ નહિ મારી વાઉચરનો ખરા તરીકે ઉપયોગ કરી વાઉચર નં ૨૦ માં ૪૩ હજાર અને વાઉચર નં ૬૦ માં ૪૪ હજાર મળીને કુલ ૮૭ હજારની સરકારી નાણાની ઉચાપત કરી છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે. આ મામલે બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.