કન્યા શાળામાં ધો.૧થી ૮માં અભ્યાસ કરતી રપ૦ વિદ્યાર્થીનીઓ તેમજ કુમાર શાળાના વિદ્યાર્થીઓને કાદવ-કિચડમાંથી પસાર થવું પડે છે ; અગાઉ સરપંચને કરાઈ હતી રજૂઆત છતાંય પ્રશ્ન ત્યાંને ત્યાં ! હળવદ : ઘનશ્યામપુર ગામે આવેલ કન્યા શાળા તેમજ કુમાર શાળા પાસે વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓને કાદવ- કિચડ વાળા પાણીમાં પસાર થઈ શાળાએ અભ્યાસ અર્થે જવું પડી રહ્યું છે ત્યારે શાળા દ્વારા આ બાબતની અગાઉ રજૂઆત ગામના સરપંચને કરાઈ હતી પરંતુ આજ દિન સુધી કોઈ યોગ્ય નિકાલ કરવામાં ન આવતા વિદ્યાર્થીઓને કાદવ-કિચડ વાળા રસ્તા પરથી પસાર થવામાંથી કયારે મુકિત મળશે તે એક યક્ષ પ્રશ્ન બની રહ્યો છે. તાલુકાના ઘનશ્યામપુર ગામે આવેલ કન્યા શાળામાં ધો.૧થી ૮માં અભ્યાસ કરતી રપ૦ વિદ્યાર્થીનીઓ તેમજ કુમાર શાળામાં ભણતા વિદ્યાર્થીઓને અભ્યાસઅર્થે શાળા જવાના રસ્તા પર કાદવ-કિચડ વાળા વરસાદી પાણી ભરાઈ જતા શાળાએ જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે ગામના સરપંચ દ્વારા વહેલી તકે સમસ્યા દૂર કરાય તેવી માંગ ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વરસાદી માહોલ વચ્ચે શાળાએ જતા બાળકોને શાળા પાસે આવેલ રસ્તાઓ પર પાણી ભરાઈ રહેતું હોવાથી મુશ્કેલી ભોગવવી પડતી હોય છે. જાકે શાળા પાસે આવેલ રસ્તાનું લેવલ ઉંચું હોવાના કારણે અવારનવાર આ જ જગ્યાએ ઘુંટણસમા પાણી ભરાઈ જતા હોવાથી વિદ્યાર્થીઓને અહીંથી પસાર થવામાં નાકે દમ આવી જતું હોય છે. આ અંગે ઘનશ્યામપુરના સરપંચ રઘુભાઈ ચૌહાણએ જણાવ્યું હતું કે, શાળા પાસે આવેલ રસ્તા પર અમુક લોકો દ્વારા માટી નાખી દીધેલ હોવાથી પાણી ભરાવાની સમસ્યા ઉદભવી છે ત્યારે આ બાબતે નોટીસ ફટકારવામાં આવશે.