કેક કાપીને નહિ આહુતિ આપીને જન્મદિવસ ઉજવતા શાળાના બાળકો મોરબી : ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા મોરબીની સર્વોપરી શાળા સંકુલ દ્વારા આજે દિવ્યયજ્ઞ વિધિ કરી બાળકો માટે જન્મદિન ઉજવણી મહોત્સવનું આયોજન કરાયું હતું. બાળકોમાં ભારતીય સંસ્કૃતિના ગુણ કેળવાય અને પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ ન થાય તેવા ઉમદા ધ્યેય સાથે સર્વોપરી શાળા સંકુલ મોરબી દ્વારા જન્મદિન ઉજવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને કર્મચારીગણ મળી કુલ ૮૫૦ લોકોએ ભાગ લીધો હતો. જન્મદિન મહોત્સવની ઉજવણી અંતર્ગત સર્વોપરી શાળા સંકુલ ખાતે ખોખરા હનુમાનજી સંસ્કૃત પાઠશાળાના પ્રધાન આચાર્ય અને ઋષિકુમારો દ્રારા શાસ્ત્રોક્ત વિધિથી દિવ્ય યજ્ઞવિધિ કરવામાં આવી હતી અને જન્મોત્સવ એક મહોત્સવ બનવવામાં આવ્યો હતો. આ તકે શાળા સંકુલ દ્વારા દરેક બાળકોને કાવ્યની પંક્તિરૂપે પ્રેરક સંદેશો અપાયો હતો જેમાં, જન્મદિન ઉજવીયે ' કાપીને નહિ પણ આહુતિ અર્પીને,' 'અંધારું નહિ પણ પ્રકાશ ફેલાવીને,' 'પશ્ચિમી સંસ્કૃતિથી નહિ આપણી સંસ્કૃતિથી, ' જેવી ટેગ લાઈન પણ આપવામાં આવી હતી.