વાધરવા અને માણાબાના અસામાજિક તત્વો દ્વારા મુખ્ય પાઈપલાઈનની વાલ્વ ચેમ્બર તોડી ખેતી માટે પાણી ચોરી પાણી ચોરી મામલે જીડબલ્યુઆઈએલ દ્વારા પોલીસ ફરિયાદ કરવા તજવીજ માળીયા : કચ્છ અને જામનગરને પાણી પૂરું પાડતી નર્મદા યોજનાની મુખ્યલાઈનમાં માળિયાના માણાબા ગામ નજીક ખેતીવાડી ઉપયોગ માટે વાલ્વ ચેમ્બર તોડી ભંગાણ કરવામાં આવતા અંદાજે 50 લાખ લીટર જળ જથ્થો વેડફાયો છે, આ ગંભીર મામલે જીડબલ્યુઆઈએલ એટલે કે ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. એકતરફ વરસાદ ખેંચાતા પીવાના પાણીની તંગી સર્જાવાની દહેશત ઉભી થઇ છે તેવા સમયે જ ઢાંકી પમ્પિંગ સ્ટેશનથી જામનગર અને કચ્છને પાણી પૂરું પાડવા માટે નાખવામાં આવેલી નર્મદા યોજનાની મુખ્યલાઈનમાં માણાબા ગામ નજીક અસામાજિક તત્વો દ્વારા છેલ્લા પંદર કલાકથી ભંગાણ કરી મુખ્ય વાલ્વ તોડી નાંખતા અહીંની નદીમાં પાણીનો વિપુલ જથ્થો જમા થઈ ગયો છે અને એક અંદાજ મુજબ છેલ્લા પંદર કલાકમાં 50 લાખ લીટર જેટલું પાણી વેડફાયું છે. બીજી તરફ નર્મદા યોજનાની મુખ્ય લાઈનમાં ભંગાણ થયું હોવાની જાણકારી મળતાં ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના પ્રોજેકટ મેનેજર એસ.કે.અગ્રવાલ અને ચીફ એન્જીનીયર રવિ સોલંકી એક્સ આર્મીની આઠ ટીમોને સાથે રાખી તપાસ કરી હતી અને ઘટના સ્થળે દોડી ગયા હતા અને તાત્કાલિક ટીમોને કામે લગાડી તોડી નાખવામાં આવેલ વાલ્વ ચેમ્બરનું યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું છે. વધુમાં પાણીની કટોકટી સમયે સિંચાઈ હેતુ માટે પાણી ચોરવાના આ ગંભીર બનાવ મામલે ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના અધિકારીઓ દ્વારા માણાબા અને વાધરવા ગામના અસામાજિક તત્વો વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='25678,25677']