જિલ્લા કલેકટરને ટ્વીટર ઉપર જાગૃત નાગરિકની વિડીયો સાથેની ફરિયાદ વાંકાનેર : એક તરફ ગુજરાત સરકાર સુજલામ સુફલામ યોજના થકી જળસંચયની વાતો કરી કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે ત્યારે વાંકાનેરમાં પાણી પુરવઠા બોર્ડના પાપે દોઢ દોઢ માસથી અમૃત સમાન નર્મદાના નીર વેડફાઈ રહ્યા હોવ છતાં પગલાં ભરવામાં ન આવતા વાંકાનેરના જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેકટરને વિડીયો પુરાવા સાથે ફરિયાદ કરવામાં આવતા ચકચાર જાગી છે. જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ચન્દ્રપુર નજીક છેલ્લા દોઢ માસ જેટલા સમયથી નર્મદાની મુખ્યલાઈન તૂટી જતા પાઇપલાઇનમાંથી દરરોજ હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે, આ મામલે જાગૃત નાગરિક અને આરટીઆઇ એક્ટિવિસ્ટ તોફિક અમરેલીયા દ્વારા વારંવાર ફરિયાદ કરવા છતાં પણ ફરિયાદ બહેરા કાને અથડાઈ હતી. દરમીયાન આ અત્યંત ગંભીર બાબતે આરટીઆઇ એકટીવિસ્ટ તોફિક અમરેલીયા દ્વારા જિલ્લા કલેકટરને ટ્વીટર એકાઉન્ટ પર પાઇપલાઈનમાંથી વેડફાતા પાણી અંગેના વિડીયો શૂટિંગ સહિતના પુરાવા સાથે ફરિયાદ કરી છે, હવે જોવું એ રહ્યું કે જિલ્લા કલેકટર આ ગંભીર બાબતે કેવા પગલાં લે છે.