ખેડૂતોએ વાડામાં રાખેલ પશુઓનો ચારો, એન્જીનનું ઓઇલ, ગાડા અને પાણીની લાઈન સહિતની વસ્તીઓ બળીને ભસ્મ માળીયા : મોટા દહીંસરા ગામના છેવાડે આવેલા વાડાઓમાં કોઈ કારણોસર આગ લાગી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ આગના કારણે ૩૫ જેટલા વાડાઓ બળીને ખાખ થઈ ગયા હતા. આ આગના કારણે પશુઓનો ચારો, એન્જીન ઓઇલ અને પાણીની લાઈન સહિતની ચીજ વસ્તુઓ હોમાઈ ગઈ હતી. મોરબીના મોટા દહીંસરા ગામે છેવાડાના ભાગે વાડાઓ આવેલા છે. ત્યાં આજે સાંજના સુમારે કોઈ કારણોસર આગ લાગી હતી. આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ૩૫ જેટલા વાડાઓ બળીને ખાખ થઈ ગયા હતા. ૩૫ માંથી ૨૦ વાડાઓમાં પશુઓનો ચારો, જુનવાણી ગાડા, એન્જીન ઓઇલ અને પાણીની પાઇપ લાઈન સહિતની ચીજવસ્તુઓ મુકેલી હતી. આગના કારણે આ તમામ વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી. ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયરફાઈટની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવતા આગ કાબુમાં આવી હતી.