ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન મગનલાલ વડાવીયાની મુખ્યમંત્રીને રજુઆત મોરબી : પ્રધાનમંત્રી ફસલ પાક વિમા યોજનામાં કપાસનું ૫ ટકા પ્રીમિયમ લેવામાં આવે છે. ત્યારે આ પ્રીમિયમમાં ઘટાડો કરવા મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન મગનલાલ વડાવીયાએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન મગનલાલ ધનજીભાઈ વડાવીયાએ મુખ્યમંત્રીને રજુઆતમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ફસલ પાક વિમા યોજનામાં ખરીફ પાકમાં મગફળીનું પ્રીમિયમ ૨ ટકા લેખે છે. જ્યારે કપાસનું પ્રીમિયમ ૫ ટકા છે. સરકાર દ્વારા ૦ ટકા વ્યાજે પાક ધિરાણ થતું હોય ત્યારે કપાસનું પ્રીમિયમ ૫ ટકા ઘણું વધારે છે. તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જ્યારે નવી યોજના દાખલ કરી ત્યારે કપાસના પ્રીમિયમમાં ૩ ટકા લેખે ગુજરાત સરકાર પ્રીમિયમ ભોગવીને કપાસ અને મગફળીનું પ્રીમિયમ ૨ ટકા લેખે સરખા ભાગે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ પાક વીમા પ્રીમિયમ ફરજિયાત છે ત્યારે કપાસ પરના ૩ ટકા લેખે પ્રીમિયમ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે અને મગફળીની સાથે ૨ ટકા લેખે પ્રીમિયમ ખેડૂત પાસેથી લેવામાં આવે અથવા પ્રીમિયમ મરજિયાત કરવામાં આવે તેવું સરકાર દ્વારા વિચારણામાં લેવામાં આવે તો ખેડૂતો પર પડતો બોજો ઓછો થઈ શકે છે. કપાસમાં ૩ ટકા લેખે ગુજરાત સરકાર દ્વારા ભોગવવામાં આવે અથવા પ્રીમિયમ મરજિયાત કરવામાં આવે તેવી માંગ છે.