હળવદ : કળયુગમાં હાજરાહજૂર માનવામાં આવતાં તેમજ અનેક લોકોની મનોકામના પૂર્ણ કરનાર રામદેવજી મહારાજના હળવદના કેદારીયા ખાતે આવેલા શિખરબંધ મંદિરમાં આજે વહેલી સવારે નિજ મંદિર મધ્યે આવેલી મુર્તિમાથી અશ્રુધારા વહેવાની વાતે જોર પકડતા સમગ્ર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે કુતુહલ સર્જાયું હતું. હળવદ શહેર અને તાલુકાના વિવિધ ધાર્મિક મંદિરો આજે આસ્થાના પ્રતિક સમા ઉભા છે અને તમામ મંદિરમાં વિવિધ ધાર્મિક કાયૅકમના આયોજનો પણ થતા હોય છે જેના ભાગ રૂપે આજે સમગ્ર તાલુકામાં ધાર્મિક વાતાવરણ જોવા મળે છે. હળવદ તાલુકાના કેદારીયા ગામમાં આશરે ત્રીસેક વર્ષ પહેલાં બંધાવેલા મંદિરમાં રામદેવપીરની મુર્તિમાથી અશ્રુધારા વહેતા કુતૂહલ સર્જાયું હતું. આ કૂતૂહલના સમાચાર વાયુવેગે પ્રસરતા આજુબાજુના વિસ્તારોમાંથી લોકોના ટોળેટોળાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા.