વિજતંત્રને રજુઆત કરતા સંતોષકારક જવાબ ન મળ્યો: ગ્રાહકોમાં રોષ મોરબી: ઉજાલા બલ્બ વિતરણ હેઠળ બલ્બમાં કોઇ ખામી હોય તો તેને બદલી આપવાનો નિયમ છે પરંતુ મોરબીમાં છેલ્લા દોઢ માસથી બલ્બ બદલવાની કામગીરી બંધ હોવાથી લોકો વીજ કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા તેઓને સંતોષકારક જવાબ ન મળી રહ્યો હોવાની ફરિયાદ ઊઠી છે. મોરબીમાં રાજ્ય સરકારની યોજના અંતર્ગત વીજતંત્ર દ્વારા ઉજાલા બલ્બનુ વિતરણ કરવામાં આવી રહ્યું છે આ યોજનામાં એવો નિયમ છે કે તંત્રને નિશ્ચિત સમયમર્યાદામાં બલ્બમાં કોઈ ખામી હોય તો તે બલ્બ બદલાવી આપવાનો હોય છે પરંતુ કોન્ટ્રાક્ટ કંપની દ્વારા છેલ્લા દોઢ માસથી આવા બલ્બ બદલાવવાની કામગીરી બંધ છે લોકો બલ્બ બદલવા માટે વારંવાર વીજ કચેરીના ધક્કા ખાય છે છતાં ત્યાંથી યોગ્ય જવાબ મળતો નથી. આ અંગે પીજીવીસીએલમાં પણ રજૂઆત કરવા છતાં લોકોને ખાલી હાથે પરત ફરવું પડે છે. સૂત્રોના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટ કંપની કહે છે કે ગુજરાતના ગામડાઓમાં આ કામગીરી ચાલુ છે માટે શહેરોમાં બંધ રખાઇ છે અને એક માસ સુધી બલ્બ બદલવાની કામગીરી બંધ રહેશે જ્યારે આ અંગે પીજીવીસીએલના અધિકારી ભાલાણીએ જણાવ્યું કે આ બાબતે કોન્ટ્રાકટ કંપની સાથે વાતચીત કરી બલ્બ બદલવાની બંધ થયેલી કામગીરી પુનઃ શરૂ કરાવવામાં આવશે.