ફ્લાવર, ટમેટા, દૂધી, રીંગણાં, વટાણા, લીંબુ વગેરેના ભાવમાં ૨૫ ટકાથી માંડીને ૧૦૦ ટકા સુધીનો વધારો મોરબી: મોરબીમાં શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા છે. ફ્લાવર, ટમેટા, દૂધી, રીંગણાં, વટાણા, લીંબુ વગેરેના ભાવમાં ૨૫ ટકાથી માંડીને ૧૦૦ ટકા સુધીનો વધારો આવતા ગૃહિણીનું બજેટ અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. હાલ ઉનાળાની ઋતુમાં મોરબીમાં શાકભાજીના ભાવમાં જબબર ઉછાળો જોવા મળી રહ્યો છે. જે શાકભાજી એક મહિના પહેલા ઓછા ભાવે મળતા હતા આજે એ શાકભાજીના ભાવ ભડકે બળ્યા છે. ઉનાળામાં લુ થી બચવા લોકો લીંબુના રસનું અલગ અલગ રીતે સેવન કરતા હોય છે. ત્યારે લીંબુની માંગ વધતા તેના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. એક મહિના પહેલા લીંબુના કિલોના ભાવ રૂ. ૬૦ હતા. જે આજે ૧૦૦ સુધી પહોંચી ગયા છે આ ઉપરાંત શાકભાજી પર નજર કરીએ તો ફ્લેવરના ભાવ રૂ. ૪૦ થી વધીને રૂ. ૬૦, ટમેટાના ભાવ રૂ. ૨૦ વધીને રૂ.૩૦, દૂધીના ભાવ રૂ.૩૦ થી વધીને રૂ.૪૦, રીંગણાના ભાવ રૂ. ૬૦ થી વધીને રૂ.૧૨૦ અને બટેટાના ભાવ રૂ.૧૦ થી વધીને રૂ.૨૦ થઈ ગયા છે. આ ભાવ તો શકમાર્કેટના રિટેઈલ ભાવ છે. જ્યારે શેરીએ ગલીએ વેચવા આવતા ફેરિયાઓના શાકભાજીના ભાવ શાકમાર્કેટ કરતા થોડા વધુ જોવા મળે છે. વેપારીઓના જણાવ્યા મુજબ ઉપરથી જ ભાવ વધ્યા છે. જેથી તેઓને પણ શાકભાજી વધુ ભાવે વેચવા પડે છે. શાકભાજીના આ ભાવ વધારાથી ઘરાકીમા ૫૦ ટકા જેવો ઘટાડો નોંધાયો છે.