ટંકારા : ટંકારા તાલુકાની ખાનગી શાળાઓના સંચાલકો સાથે આરટીઇ મુદ્દે તાલુકા પંચાયત પ્રમુખ ભુપેન્દ્રભાઈ ગોધણીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં શિક્ષણ અધિકારી દીપાબેન બોડા, કારોબારી અધ્યક્ષ મહેશભાઈ લાધવા, ચેતનભાઈ ત્રિવેદી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ટંકારા કન્યા શાળાના આચાર્ય ચેતનભાઈ ભાગિયાએ આરટીઈ પ્રવેશ કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું કે વાલીઓ www.rtegujarat.org વેબસાઈટ ઉપર તા.૧૯ એપ્રિલ થી ૫ મેં સુધી ફોર્મ ભરી શકશે. ઓનલાઈન અરજી ફોર્મ ટંકારાની કન્યા શાળામાંથી ભરી શકાશે. આવક મર્યાદા ગ્રામ્ય માટે રૂ.૧,૨૦,૦૦૦ અને શહેરી માટે રૂ.૧,૫૦,૦૦૦ રહેશે. તા.૦૧/૦૬/૨૦૧૩ પહેલા જન્મ થયેલા બાળકોને ધો.૧માં પ્રવેશ મળશે. વિદ્યાર્થીને નજીકની ૬ કિલોમીટર સુધીની શાળામાં પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશ માટે બાળકનો પાસપોર્ટ ફોટો, જન્મનો દાખલો તથા આધારકાર્ડ આવશ્યક છે. ઉપરાંત વાલીઓ માટે રહેઠાણનો પુરાવો, રેશનકાર્ડ અથવા આધારકાર્ડ, આવક તથા જાતિનો દાખલો, બેંકની પાસબુકની નકલ અને બીપીએલનો ૦ થી ૨૦ નંબરનો દાખલો જરૂરી છે. ખાનગી શાળાઓ ધો.૧ના વર્ગમાં ૨૫ ટકા વિદ્યાર્થીઓને આરટીઈ હેઠળ પ્રવેશ આપશે.