પુર વખતે વીજ વિતરણ વ્યવસ્થાને પૂર્વવત કરવામાં મહત્વની કામગીરી બજાવવા બદલ પ્રશિષ્ટિપત્ર અર્પણ કરાયા ટંકારા : મોરબી જિલ્લામાં આવેલા પૂર વખતે ખોરવાયેલી વીજ વિતરણ વ્યવસ્થાને પૂર્વવત કરવામાં મહત્ત્વની કામગીરી બજાવનારા મોરબીના ઈલેકટ્રીક કોન્ટ્રાક્ટર ઇશ્વરભાઇ જીવરાજભાઈ ધેટિયા અને વિરપરના પૂર્વ સરપંચ તેમજ સામાજિક કાર્યકર વલમજીભાઈ મગનભાઈ રાજપરાનું પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમીટેડના મેનેજીંગ ડાયરેકટર જે.જે ગાંધી દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ અને ઉત્તર ગુજરાત વીજકંપની લિમિટેડના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારોમાં ગત જૂન અને જુલાઈ મહિના દરમ્યાન અતિભારે વરસાદની કુદરતી આફત થી ખોરવાયેલી વીજ વિતરણ વ્યવસ્થાને ઝડપથી પૂર્વવત કરવાના પ્રયાસોમાં મોરબીના ઈલેક્ટ્રીક કોન્ટ્રાક્ટર ઇશ્વરભાઇ જીવરાજ ભાઈ ઘેટીયા અને વિરપરના પૂર્વ સરપંચ તેમજ સામાજિક કાર્યકર વલમજીભાઈ મગનભાઈ રાજપરા દ્વારા દિવસ-રાત જોયા વગર પી.જી.વી.સી.એલ.ની ટીમ સાથે રહી પૂર્ણ કર્તવ્યનિષ્ઠાથી સખત પરિશ્રમ કરી યશસ્વી કામગીરી કરવામાં આવી હતી જે બદલ પીજીવીસીએલ ના મેનેજીંગ ડાયરેકટર જે.જે ગાંધી દ્વારા બંનેનું સન્માન કરવામાં આવ્યું હતું.