૧૮ દિવસની ધાર્મિક યાત્રા કરીને ગામ પરત ફરતા યાત્રિકોનું વાજતે ગાજતે અબીલ ગુલાલની છોડો સાથે સામૈયું નીકળ્યું મોરબી : મોરબીના નાની વાવડી ગામના ચાર લોકો ૧૮ દિવસની ધાર્મિક યાત્રા કરીને ગામમાં પરત આવતા તેઓનું ઢોલ નગારાના તાલે અને અબીલ ગુલાલની છોડો ઉડાડીને ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દરેક મનુષ્યના જીવનમાં ધાર્મિક યાત્રાનું ખુબજ મહત્વ હોય છે. દરેક મનુષ્યની એક એવી ઈચ્છા હોય છે કે તે પોતાના જીવન દરમિયાન ધાર્મિક સ્થળોની યાત્રા કરે. મોરબીના નાની વાવડી ગામે રહેતા ચાર યાત્રાળુઓ ૧૮ દિવસની યાત્રા પૂર્ણ કરી પરત આવતા નાની વાવડી ગ્રામજનો દ્વારા યાત્રિકો નું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ગત ૧૮ માર્ચના રોજ નાની વાવડી ગામે રહેતા પ્રભુભાઈ પડસુબીયા, ચંદ્રિકાબેન પડસુબીયા, નર્મદાબેન બાવરવા અને દયાબેન પડસુબીયાએ હરિદ્વાર, કાશી, ગોકુળ,મથુરા અને વૃંદાવન જેવા પવિત્ર સ્થળના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ચાર વ્યક્તિઓના સમુહે સતત ૧૮ દિવસ સુધી અલગ અલગ ધાર્મિક સ્થળોની યાત્રા કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. આ યાત્રાળુઓ ૧૮ દિવસની યાત્રા પૂર્ણ કરી ગત તા.૨૯ માર્ચના રોજ પરત આવતા નાની વાવડી ગ્રામજનો દ્વારા આ ચારેય યાત્રાળુનું ઢોલ નગારા અને અબીલ ગુલાલ ઉડાડીને સ્વાગત કરાયું હતું.