૩૦ એપ્રિલ સુધીમાં પગાર વધારા પ્રશ્ને ઉકેલ ન આવે તો, રેલી, ધરણા મોરબી : મોરબી જિલ્લાના ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો દ્વારા આરટીઇ કાયદા મુજબ પગાર ધોરણમાં વધારો કરવાની માંગ સાથે શિક્ષક સંધને આવેદનપત્ર પાઠવી રાજ્ય સરકારમાં રજુઆત કરવા માંગણી ઉઠાવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા અને જિલ્લાના ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો દ્વારા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સરકાર દ્વારા પ્રાથમિક અને ઉચ્ચપ્રાથમિક બે વિભાગ આર.ટી.ઇ.2009 મુજબ કરવામાં આવેલ છે પરંતુ ધોરણ-૧ થી ૮ શિક્ષણ એકમને યથાવત રાખવામાં આવેલ છે હાલ ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોની લાયકાત મુજબ 9300થી34800+4200 પગારધોરણ છઠ્ઠા પગાર પંચ મુજબ મળવું જોઈએ એવી માંગ કરી હતી. વધુમાં આરટીઇ કાયદો -2009 મુજબ પ્રાથમિક વિભાગના શિક્ષકોથી ઉચ્ચ પ્રાથમિક વિભાગના શિક્ષકોના કામના કલાક અને કામના દિવસો નું પ્રમાણ પણ વધારે છે. રાજસ્થાન ,મહારાષ્ટ્ર ,દમણ અને મધ્યપ્રદેશ જેવા ઘણા રાજ્યોમાં અને કેન્દ્ર સરકાર સંચાલિત બન્ને વિભાગમાં પગારધોરણ અલગ છે. દરમિયાન સરકાર દ્વારા આગામી તારીખ 30/4/2018 સુધીમાં ઉચ્ચતર પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નોના નિરાકરણ માટે સમય મર્યાદા નક્કી કરવાની માંગણી અને નક્કી કરેલા સમય મર્યાદામાં અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં કરાય તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધરણા, રેલી જેવા કાર્યક્રમો આપી ઉગ્ર લડત આપવામાં આવે તેવું આવેદનપત્રના અંતમાં મોરબી જિલ્લાના પ્રમુખ મણિલાલ સરડવા તથા કાર્યાઘ્યક્ષ રમેશભાઈ જાકાને મોરબી તાલુકાના પ્રમુખ સંદિપ આદ્રોજા અને મહામંત્રી અશ્વિનભાઈ દલસાનિયા,મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નિતેશ રંગપડીયા અને મહામંત્રી શિવલાલ કાવર તથા મોરબી જિલ્લાના ઉચ્ચ પ્રાથમિક વિભાગના શિક્ષકો દ્વારા જણાવાયું હતું.