રફાળેશ્વર રોડ પર આવેલ મચ્છો માં નગર પાયાની પ્રાથમિક સુવિધાથી વંચિત : મોરબી : મોરબીમાં રફાળેશ્વર રોડ પર આવેલ મચ્છો માં નગર નામના પછાત અને દલિત વિસ્તારમાં પાણી, લાઈટ, રસ્તા,મકાન કે શિક્ષણ માટે શાળા ન હોય આ વિસ્તારના રહેવાસીઓએ મોરબી જિલ્લા કલેકટર કચેરીમાં ઉગ્ર રજુઆત કરી બીજો પાટણકાંડ સર્જાય તે પહેલાં પ્રાથમિક સુવિધા આપવા માંગ ઉઠાવી હતી. મોરબીમા મચ્છો મા નગર સેવા સમિતિના નેજા હેઠળ શુક્રવારે મચ્છોનગર ના રહીશો એ લાઈટ,પાણી, શિક્ષણ અને મકાનની સુવિધા પુરી પાડવા અગાઉ જિલ્લા કલેકટરે કરેલ હુકમનુ પાલન કરવા જીલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યુ હતુ. જેમા દલિત,પછાત અને ગરીબ વર્ગના લોકોએ જણાવ્યું હતું કે અગાઉ મોરબી જીલ્લા કલેક્ટરે ગત તા.૦૩-૦૬-૨૦૧૪ મા લાઈટ,પાણી,શિક્ષણ અને રહેવા માટે મકાન આપવા હુકમ કરેલ હતો જે હુકમનુ આજ દિન સુધી પાલન ન થયુ હોવાના આક્ષેપો કરી રહેવાસીઓ દ્વારા કલેકટર કચેરી ગજવવામાં આવી હતી. આ તકે મોરબી જીલ્લા સેવા સદન ખાતે મચ્છોનગરના રહેવાસીઓએ ઉગ્ર સુત્રોચ્ચાર કરી અને પાટણમા સર્જાયેલ દલિતકાંડ જેવી ઘટના મોરબીમાં બને તે પહેલાં જ તંત્રને સાનમાં સમજી જવા તાકીદ કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વધુમાં નીચેના અધિકારીઓ દ્વારા જિલ્લા કલેકટરના અગાઉના હુકમ ને નજર અંદાજ કરવામા આવતો હોવાનું જણાવી દલિત અને પછાત.વિસ્તારને તમામ પ્રાથમિક સુવિધાઓ આપવા આવેદનમાં માંગ ઉઠવાઈ હતી. આ મામલે જીલ્લા કલેક્ટર આઈ.કે.પટેલે શાળા માટે હુકમ કરી આપ્યો હોવાનું જણાવ્યુ હતુ અને મચ્છોનગરને ટુંક સમય મા જ ૨૦૧૪ ના હુકમ મુજબ સુવિધાઓ આપવા હકારાત્મક પ્રત્યુતર આપતા નારાજ થયેલા રજુઆતકર્તાઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો.