ગ્રામપંચાયત સદસ્ય દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને પુરાવા સાથે કરવામાં આવી ચોકવનારી રજુઆત મોરબી : મોરબી તાલુકાના રાજપર કુંતાસી ગ્રામ પંચાયતમાં બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ફરિયાદ ખુદ પંચાયતના સભ્ય મનોજભાઈ ધોરિયાણીએ જિલ્લા વિકાસ અધિકારીને કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજપર કુંતાસી ગ્રામ પંચાયતના સદસ્ય મનોજભાઈ પ્રાગજીભાઈ ધોરિયાણીએ જિલ્લા વિકાસ અધિકારી મોરબીને લેખિત રજુઆત કરી પુરાવા રજૂ કરતા જણાવ્યું હતું કે રાજપર ગામમાં ઘન કચરાના નિકાલ માટે કોઈ સાધનો વસાવવામાં ન આવ્યા હોવા છતાં પંચાયતના ચોપડે ૫૮૨૭૭ રૂપિયા દર્શવવામાં આવ્યા છે. આ ઉપરાંત આંતરિક રસ્તાનું રીપેરીંગ થયું ન હોવા છતાં ૭૭૮૩૩ રૂપિયાનો રીપેરીંગ ખર્ચ, ૨૦૧૬ માં ફક્ત ૨૨ સ્ટ્રીટ લાઈટ ફિટ કરવામાં આવી હોવા છતાં ૧,૩૮,૧૩૬ બિલ ઉધરાયું છે તો બાકીના નાણાં ક્યાં ગયા ? પાઇપ લાઈન રીપેરીંગ ખર્ચ ૫૫૦૦૦ ઉધારવામાં આવ્યો છે પરંતુ ક્યાં ખોદાણ કર્યું એ દર્શવવામાં આવ્યું નથી. આશ્ચર્ય તો એ વાતનું છે કે રાજપર કુંતાસી ગામની પંચાયતમાં આવા એક પણ ઠરાવ થયા નથી, મિનિટ્સ બુક પણ વસાવવામાં આવી નથી કે કોઈ હિસાબી ચોપડા પણ રખાયા નથી ત્યારે આ લાખો રૂપિયાનો ખર્ચ માત્ર કાગળ ઉપર દેખાડી સરકારી નાણાંની ઉચાપત થયા નું સ્પષ્ટ છે. રજુઆત કરનાર મનોજભાઈને ઉપરોક્ત માહિતી માહિતી અધિકાર કાયદા હેઠળ આપવામાં આવી છે પરંતુ પંચાયત મંત્રીએ બારોબાર સહી સિક્કા કર્યા વગર જ નકલ આપી હોવાનું પણ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરવામાં આવી હોવાનું જણાવાયુ છે. આ સંજોગોમાં હવે જિલ્લા વિકાસ અધિકારી આ ફરિયાદ બાદ કેવા પગલાં ભરે છે તે જોવું રહયુ.