રાજગોર સમૂહ લગ્નમાં ચાર લગ્ન ડોક્યુમેન્ટના કારણે અટક્યા : સમાજ સુરક્ષા વિભાગનો સપાટો મોરબી : મોરબીમાં રાજગોર બ્રાહ્મણ સમાજ આયોજિત સમુહલગ્નોત્સવમાં સમાજ સુરક્ષા વિભાગે સપાટો બોલાવી ચાર બાળલગ્ન અને ત્રણ વરકન્યાના ડોક્યુમેન્ટ રજૂ ન થતા લગ્ન અટકાવવા આયોજકો અને લગ્ન કરાવનાર ગોરમારાજ સહિતના લોકોને દોડા દોડી થઈ પડી હતી. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રેલવે સ્ટેશન સામે પરશુરામ પોટરી ખાતે આયોજિત રાજગોર બ્રાહ્મણ સમાજના સમુહલગ્નોત્સવમાં બાળલગ્ન થતા હોવાની બાતમીને આધારે સમાજ સુરક્ષા વિભાગના કાફલાએ ઘટના સ્થળે દોડી જઇ ચાર લગ્ન અટકાવ્યા હતા અને ત્રણ વરકન્યાના લગ્ન ડોક્યુમેન્ટ રજૂ ન કરતા અટકાવવી કુલ છ લગ્નપ્રસંગ અટકાવવામાં આવ્યા હતા. સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી સમાજ સુરક્ષા વિભાગની ટીમના એસ.પી.રાઠોડ અને બાળસુરક્ષા એકમની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી, જો કે લગ્ન થયા પૂર્વે જ લગ્નપ્રસંગ અટકાવી દેવામાં આવતા બાળ લગ્ન કરાવનાર વાર કન્યાના માતા પિતા કે અન્ય કોઈ વિરુદ્ધ પોલીસ કેસ કરાયો નથી. ઉલ્લેખનીય છે કે આજે જે બાળ લગ્ન અટકાવ્યા છે તેમા એક કિસ્સામાં તો ફક્ત આઠ દિવસનો સમયગાળો જ ઘટતો હોવા છતાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા બાળલગ્ન પ્રતિબંધક ધારા મુજબ આ લગ્ન પણ અટકાવી દેવામાં આવ્યા હતા. રાજગોર બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજિત આ સમૂહ લગ્નમાં કુલ ૨૮ નવદંપતિઓ ભાગ લઈ રહ્યા હતા જેમાં અચાનક જ સમાજ સુરક્ષા વિભાગની એન્ટ્રી થતા ચાર બાળ લગ્ન અટક્યા છે. જો કે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આ મામલે આયોજકો અને વાલીઓને બોલાવી કડક સૂચના આપી ભવિષ્યમાં તકેદારી રાખવા બોધપાઠ આપ્યો હતો.