મોરબીના યુવાન પર ખાખરેચીના ત્રણ લોહાણા બંધુએ કર્યો હુમલો માળીયા : માળીયા તાલુકાના ખાખરેચી ગામે ઉછીના આપેલા નાણાંની વસુલાત માટે ત્રણ લોહાણા બંધુઓએ કાયદો હાથમાં લઈ એક યુવાન પર હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જાણવા મળતી વિગતો મુજબ મૂળ ખાખરેચી ગામના અને હાલ મોરબી ગ્રીનચોક ખાતે રહેતા ચિરાગ ભરતભાઇ મહેતાએ આરોપી જીતુ કાંતિભાઈ લોહાણા, હર્ષદ કાંતિભાઈ લોહાણા અને જતીન કાંતિભાઈ લોહાણા પાસેથી ઉછીના પૈસા લીધા હતા, જેની આરોપી ત્રણે ભાઈઓએ વારંવાર ઉઘરાણી કરતા ફરિયાદી ચિરાગે પોતાના પિતાનું અકસ્માતમાં અવસાન થયું હોય વિધિ પત્યા પછી નાણાં આપવા જણાવ્યું હતું. આમ છતાં આરોપી ત્રણે ભાઈઓએ નાણાંની ઉઘરાણી ચાલુ રાખી હતી અને ગઈકાલે ત્રણેય ભાઈઓએ એક સંપ કરી ચિરાગ પર નાણાં વસૂલવા હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા આ મામલે માળીયા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ઘટના અંગે માળીયા પોલિસે ગુન્હો નોંધી આરોપીઓને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.