જિલ્લો બન્યા બાદ ફક્ત બે રૂમમાં ચાલે છે જિલ્લા ગ્રંથાલય મોરબી : મોરબી જિલ્લો બન્યા બાદ પણ જિલ્લાકક્ષાના ગ્રંથાલયની સુવિધા આપવામાં ન આવતા હાલ બે રૂમની જગ્યામાં ગ્રંથાલય ચાલી રહ્યું હોય સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહિલ દ્વારા ગ્રંથાલય માટે વિશાળ જગ્યા ફાળવવા માંગણી ઉઠાવવામાં આવી છે. સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહિલે કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યા મુજબ મોરબીના તાલુકા ગ્રંથાલયની મોરબી જિલ્લો બન્યા બાદ જિલ્લા ગ્રંથાલયનો દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ જિલ્લાકક્ષાના ગ્રંથાલય જેવી કોઈ સુવિધા આપવામા આવી નથી. હાલ માત્ર તાલુકા સેવા સદનમાં આવેલ રૂમ નંબર ૩૪ - ૩૬ માં નામ પુરતું જિલ્લા ગ્રંથાલય ચાલી રહ્યું છે. જો કે અસુવિધા અને અગવડતા હોવા છતાં પણ મોરબીના આ જિલ્લા ગ્રંથાલયમાં અનેક યુવાનો, વિદ્યાર્થીઓ અને ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો કલાકો સુધી અહીં વાંચન કરવા આવે છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહિલ દ્વારા જિલ્લાકક્ષાના ગ્રંથાલય નિર્માણ માટે અલગ સંકુલ બનાવવા રજુઆત કરવામાં આવી હતી પરંતુ માંગણી પ્રત્યે લક્ષ ન સેવતા પુનઃ રજુઆત કરવામાં આવી છે. રજૂઆતના અંતે હાલમાં જ્યાં ગ્રંથાલય છે ત્યાં શહેરની વચ્ચોવચ્ચ તાલુકા સેવા સદનની બાજુમાં આવેલ ખાલી પ્લોટ જિલ્લા ગ્રંથાલય માટે ફાળવવા માંગણી ઉઠાવી હતી.