૧૫ જાન્યુઆરીથી મોરબીમાં થશે રાહતદરે ડાયાલિસીસ સેન્ટરનો પ્રારંભ મોરબી : મોરબીમાં કિડનીના દર્દીઓના લાભાર્થે આગામી ૧૫ જાન્યુઆરીથી રાહતદરે ડાયાલીસીસ સેન્ટરનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે આ સેવાકાર્યના લાભાર્થે ૨૭ ડીસેમ્બરથી વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા મોરબીના આંગણે ભાગવત સપ્તાહનો પ્રારંભ કરવામાં આવશે. રાહતદરે ડાયાલીસીસ સેન્ટરના લાભાર્થે યોજાનાર આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના આયોજનમાં સ્તકાર્ય સેવા સમિતિ, લાયન્સ કલબ નજરબાગ, લાયન્સ ક્લબ મોરબી સીટી, લાયન્સક્લબ મોરબી જયુપીટર, માતૃભૂમિ વંદના ટ્રસ્ટ અને બજરંગ ધૂન મંડળ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે, દ્વારિકાધામ ગાંધીનો વંડો, સમયગેટ ખાતે યોજાનાર આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં વ્યાસપીઠે ભવ્ય જોશી કથાનું રસપાન કરાવશે. વધુમાં ૨૭ મીએ બપોરે કથાના પ્રારંભ બાદ તા.૨૮ને રાત્રે ૯ કલાકે ડાયાલીસીસના દર્દીઓ માટે માર્ગદર્શક સેમિનાર, તા.૨૯ અને ૩૦ ના રોજ ચિત્રા ધૂંનભજન મંડળ અને બજરંગ ધૂન મંડળ દ્વારા ભજન સંધ્યા, તા. ૩૧ ના રોજ સ્વદેશી આહાર વિહાર અંગે માર્ગદર્શક પ્રવચન અને તા. ૧ ના રોજ થાનના સુપ્રસિદ્ધ જય ગોપાલ રસ મંડળ ના રાસની રમઝટ બોલશે તો મોરબી શહેર અને આજુબાજુના ગામોના ધર્મપ્રેમી લોકોએ આ સેવા કાર્યમાં સહભાગી બનવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.