એલ.ઇ.કોલેજ રોડ પર આવેલા બન્ને મંદિરો તોડી પાડવા કાલે ડીમોલિશન : ઓપરેશન રોકવા ભક્તજનો મેદાને નવા-જુનીના એંધાણ મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં એલ.ઇ.કોલેજ રોડ પર આવેલ સુપ્રસિદ્ધ અગનેશ્વર મહાદેવ મંદીર અને મેલડી માતાજીના મંદિરને તોડી પાડવા આવતીકાલે રવળવે તંત્ર દ્વારા ડીમોલિશન કરવા તૈયારી કરતા ભક્તજનોમાં રોષ ફાટી નીકળ્યો છે અને આવતીકાલે સવારે ઓપરેશન ડીમોલિશન સમયે નવા-જૂની થાય તેવા સંકેતો સાંપડી રહ્યા છે. જાણવા મળતી વિગતો મુજબ શહેરના સામાકાંઠા વિસ્તારમાં એલ.ઇ.કોલેજ રોડ પર વર્ષોથી રેલવેની જગ્યામાં ઉભેલા સુપ્રસિદ્ધ અગનેશ્વર મહાદેવ મંદિર અને મેલડી માતાજીના મંદિર ને હટાવવા રેલવે તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપ્યા બાદ હિન્દૂધર્મના અસ્થાના પ્રતીક એવા આ મંદિરને નહીં હટાવવા અનેક વખત અગાઉ પણ રજૂઆતો થઈ છે.પરંતુ રેલવે તંત્ર દ્વારા આવતીકાલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ બન્ને મંદિરો હટાવવા ઓપરેશન ડીમોલિશન કરવા તૈયારી કરી લેતા નવા જુનીના સંકેતો મળી રહ્યા છે. બીજી તરફ સમગ્ર મોરબીમાં સોશ્યલ મીડિયા મારફતે આવતીકાલે રેલવે દ્વારા મંદિર તોડી પાડવામાં આવનાર હોવાથી ધર્મપ્રેમી તમામ લોકોને મંદિર ખાતે એકઠા થવાના સમાચારો વહેતા કરવામાં આવતા લોકોમાં ભારોભાર રોષની લાગણી ભડકી ઉઠી છે અને કોઈપણ સંજોગોમાં ઓપરેશન ડીમોલિશન અટકાવવા લોકો માંગ ઉઠાવી રહ્યા છે. આ સંજોગોમાં જો આવતીકાલે રેલવે તંત્ર દ્વારા જો મંદિર તોડી પાડવા કાર્યવાહી કરાશે તો નવા જૂની થવાના સ્પષ્ટ સંકેતો સાંપડી રહયા છે.