બ્રાહ્મણ વૃધ્ધા પુત્રના ઘેર આટો મારવા ગયા અને ચોર ફાવી ગયા મોરબી : મોરબીમાં તસ્કરરાજ પ્રવર્તતું હોય તેમ થોડા સમય માટે બંધ રહેલા રણછોડનગરમાં બ્રાહ્મણ મહિલાના ઘરમાં તસ્કરો ચોરી કરી ત્રણ લાખની રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના તેમજ ટીવી ઉઠાવી જતા ચકચાર જાગી છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રણછોડનગર વિસ્તારમાં એકલા રહેતા મંજુલાબેન કાનજીભાઈ રાજગોર નામના વૃદ્ધા ગઈકાલે પોતાના દીકરાના ઘરે ગયા બાદ આજે સવારે પરત ફરતા તેમના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હોવાની જાણ થતા વિપ્ર વૃધ્ધાએ ઘરની તપાસ કરતા ઘર બનાવવા માટે એકત્ર કરેલી ત્રણ લાખથી વધુની રોકડ રકમ ચોરાઈ ગઈ હતી, ઉપરાંત ઘરમાંથી ટીવી, ૨ સોનાની કડી, ૨ જોડી સાંકળા સહિતના દાગીના પણ ચોરી થયા હતા. રણછોડનગર વિસ્તારમાં એકલા રહેતા વૃધ્ધા ગઈકાલે બહાર ગયા બાદ તેના બંધ ઘરને નિશાન બનાવી તસ્કરોએ હાથફેરો કર્યો હતો અને વૃદ્ધાએ મકાન બનાવવા માટે ભેગી કરેલી મરણમૂડી પણ તસ્કરો લઇ જતા ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા બી ડીવીઝન પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી ચોરી અંગે ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.