મોરબી : રાજકીય મહાનુભાવોનું પ્રચારનું વાવાઝોડુ આગામી ૪૮ કલાકમાં જ શમી જનાર છે. મતદાન આડે માત્ર ગણતરીઓની કલાકનો સમય વધ્યો હોય આજે ગુરેવારે સાંજના પાંચ વાગ્યા પછી જાજાહેર પ્રચારના ભુંગળા બંધ થઇ ગયા છે. મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સભા, સરઘસ, રેલી કાઢવા ઉપર ચૂંટણી અધિકારીએ મનાઇ ફરમાવી દીધી છે. આગામી ૯ ડિસેમ્બરના પ્રથમ તબક્કાની મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકનું મતદાન થનાર છે. ચૂંટણી તંત્ર દ્વારા અંતિમ કામગીરી હાથ ધરી તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ચૂંટણીપંચની સૂચના મુજબ મતદાનના ૪૮ કલાક પહેલા ચૂંટણી પ્રચાર કરતા મતક્ષેત્ર બહારના વ્યકિતઓને વિધાનસભા વિસ્તાર છોડી દેવા સુચના આપવામાં આવી છે. આજે સાંજના પાંચ વાગ્યાથી જાહેર પ્રચાર બંધ થતા જ રાજકીય ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા માટે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે અને મતદારો છેલ્લી ઘડીએ ફરી ન જાય તે માટેના રાજકીય કાવા-દાવા શરૂ થનાર છે. જ્ઞાતિ બેઠક, ગ્રુપ બેઠકનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે. દરમિયાન છેલ્લી ઘડીએ ઓપરેશન હાથ ધરી મતદારોને તોડવાની ગતિવિધિ પણ મોરબી જિલ્લામાં તેજ બની હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.