ચંદ્રપુર વિસ્તારમાં હોટલ સંચાલકે ગેરકાયદે નળ કનેક્શન લેતા પાલિકાનું ઓપરેશન વાંકાનેર:વાંકાનેર શહેર માટે મચ્છુ યોજનમાંથી આવતી પાણીની મુખ્યલાઈનમાં ભંગાણ કરી ગેરકાયદે નળ કનેક્શન લેનાર સામે વાંકાનેર પાલિકાએ લાલ આંખ કરી ઓપરેશન હાથ ધરી આ ગેરકાયદે કનેક્શન કટ્ટ કરી નાખ્યું હતું. જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના ચન્દ્રપુર વિસ્તારમાં આવેલ હોટલ આશીર્વાદના સંચાલકે મચ્છુ પાણી પુરવઠા યોજનાની મુખ્ય લાઈનમાં ભંગાણ કરી ચોરી છુપીથી હોટલના ઉપયોગ માટે નળ કનેક્શન લીધું હોવાનું વાંકાનેર પાલિકાના નવનિયુક્ત ચીફ ઓફિસર ગિરીશ સરૈયાના ધ્યાને આપતા ઓપરેશન હાથ ધરી આ ગેરકાયદે નળ જોડાણને કટ્ટ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આશીર્વાદ હોટલના સંચાલકો દ્વારા છેલ્લા ઘણા સમયથી પાલિકાની મુખ્ય લાઈનમાંથી પાણી ચોરી કરવામાં આવતી હતી જો કે હાલમાં કનેક્શન કટ્ટ કરી નોટિસ ફટકારી પાલિકા ચેતવણી આપી છે અને ગઇકાલની આ ઘટના સામે આવ્યા બાદ પાણી ચોરી મામલે કડક પગલાંની તંત્ર દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.