મોરબી: ભારતની સિરામિક ઇન્ડસ્ટ્રી 2020 સુધીમાં તેના ટર્નઓવરને લગભગ 50,000 કરોડ રૂપિયાનું કરવા માંગે છે. આ માટે મોરબી સીરામીક એસોશિયેશન સહિતની સંસ્થા દ્વારા યોજાઈ રહેલા વાયબ્રન્ટ સિરામિક એક્સ્પો મહત્વનો ભાગ ભજવશે. આ એક્સપોના કારણે સ્થાનિક વપરાશ અને મિડલ-ઇસ્ટ, યુરોપ અને અન્ય નવા સ્થળોએ નિકાસ વધવાની પુરી શક્યતા છે. ભારતનું 90 ટકા સીરામીક ઉત્પાદન કરતા મોરબીના ઉત્પાદકો ચીન સાથે વૈશ્વિક સિરામિક માર્કેટમાં સ્પર્ધા કરવા તૈયાર છે, જે 40 ટકા બજાર હિસ્સા સાથે અગ્રણી નિકાસકાર છે. આગામી નવેમ્બર માસમાં યોજાનાર વાયબ્રન્ટ સિરામિક એક્સપોને લઇ માહિતી આપતા સિરામિક એસોસિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે હાલમાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝનું ટર્નઓવર ૨૫૦૦૦ કરોડનું છે,જે ૨૦૨૦ સુધીમાં લગભગ ડબલ થઈ ૫૦૦૦૦ કરોડ થશે. વધુમાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં હાલ સ્કીલ્ડ અને અનસ્કીલ્ડ 10 લાખ લોકોને રોજગારી મળી રહી છે અને ખાસ કરીને સાઉદી અરબમાં મોટા પ્રમાણમાં સીરામીક પ્રોડક્ટની નિકાસ કરવામાં આવી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું. આમ મોરબીના સીરામીક ઉદ્યોગ માટે આવનારો સમય સારો હોવાનું મનાઇ રહ્યું છે.