ઇમરજન્સી સમયે રક્ત પહોંચાડવાની મુહિમમાં લોકોને જોડાવવાની યંગ ઇન્ડિયા ગ્રુપની અપીલ મોરબી : મોરબીમાં સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા અકસ્માત સહિતની ઇમરજન્સી સમયે લોકોને રક્તની જરૂરિયાત પૂરી પાડી માનવ જિંદગી બચાવવા માટેનું ખાસ અભિયાન ચલાવવામાં આવે છે. દરમિયાન એક યુવાન અકસ્માત ઘવાયો હોવાથી લોહિની ઇમરજન્સી જરૂરિયાત પડતા યંગ ઇન્ડિયા ગ્રુપ તેની વ્હારે આવી રક્તદાતાઓની મદદથી લોહીની જરૂરિયાત પૂરી પાડીને આ યુવાનની જિંદગી બચાવી લીધી છે. મોરબીમાં આજે મિહિર હર્શદભાઈ ચાવડા નામના યુવાન અકસ્માત ઘાયલ થતા તેને અચાનક ૮ થી ૧૦ બોટલ બ્લડની તાત્કાલિકના ધોરણે જરૂર પડી હતી. આ જરૂરિયાતને પુરી પાડવા માટે મોરબીમાં સેવાકીય પ્રવૃતિઓ માટે જાણીતું યંગ ઇન્ડિયા ગ્રૂપ તરત જ તૈયાર થયું હતું અને એમના સભ્યને જાણ થયાના થોડા જ સમયમાં રક્તદાતાઓના સહયોગથી બધી બ્લડની બોટલની વ્યવસ્થા કરી આપી હતી જેમાં જગદીશભાઈ રાઠોડ, મયુરભાઈ પાંચોટીયા, કિશનભાઇ ઝાલરીયા, કેવલભાઈ કોરીંગા તેમજ અન્ય મિત્રોએ તાત્કાલિકના ધોરણે રક્તદાન કર્યું હતું અને આ યુવાનની જિંદગી બચાવી લીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે યંગ ઇન્ડિયા ગ્રૂપ છેલ્લા ૧૦ વર્ષથી પોતાની 'લોહી મા છે માનવતા' મુહિમ ચલાવી ૨૪×૭ લોકોના આકસ્મિક સમયે પોતાના સભ્યોની મદદથી રક્તદાન કરી અસંખ્ય લોકોનો જીવ બચાવવા સફળ રહ્યું છે. તેથી યંગ ઇન્ડિયા ગ્રુપની આ મુહિમમાં મોટી સંખ્યામાં હજુ લોકો જોડાય જેથી આવી ઇમરજન્સીના સમયે લોહીની જરૂરિયાત પૂરી પાડી શકાય તેવું યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું છે.