વાંકાનેર ચંદ્રપુરમાં માતા પાસેથી જમીન ખરીદનાર પુત્રીને સગા ભાભીએ જાનથી મારી નાખવા ધમકી આપી વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુર ગામે આવેલી કિંમતી ખેતીની જમીન પોતાના માતા પાસેથી ખરીદનાર મહિલાને સગા ભત્રીજાઓ અને ભાભીએ આ જમીન પચાવી પાડી જમીન ઉપર પગ મુકશો તો જાનથી મારી નાંખશું તેવી ધમકી આપતા આ મામલે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે રહેતા હનીફાબેન ગુલાબહુશેનભાઈ શેરશીયા ઉ.40ના મામાનું અવસાન થયા બાદ તેમના માતાએ ચંદ્રપુર ગામની સીમમાં આવેલ સર્વે નંબર 114ની ખેતીની જમીન અંગે કોર્ટમાંથી લેટર ઓફ એડમિનિસ્ટ્રેશન મેળવતા આ જમીન તેમના માતાના નામે ચાલતી હતી અને બાદમાં આ જમીન હનીફાબેને વેચાણ દસ્તાવેજથી ખરીદી કરી લીધી હતી. આ ખેતીની જમીન હનીફાબેને ખરીદ કરી હોવા બાબતની જાણ હનીફાબેનના ભત્રીજા એહમદહુશેન ગુલાબભાઈ શેરશીયા, ફૈજલ ગુલાબભાઈ શેરશીયા,સોયબભાઇ ગુલાબભાઈ શેરશીયા અને ભાભી રોશનબેન ગુલાબભાઈ શેરશીયા રહે. ચારેય ચંદ્રપુર વાળાને થતા બે વર્ષ પહેલા ચારેય એક સંપ કરી હનીફાબેન અને તેમના પતિને આ જમીન ઉપર પગ નહિ મુકવા ધમકી આપી અન્યથા જાનથી મારી નાખવા ધમકી આપી હતી. આ બાબતે હનીફાબેને લેન્ડ ગ્રેબિંગ કમિટી સમક્ષ અરજી કરતા તેઓની અરજી માન્ય રહેતા હનીફાબેને તેમની જમીન પચાવી પાડનાર ભાભી અને ભત્રીજાઓ વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની કલમ ૪(૩), ૫(ગ) તથા આઇ.પી.સી.કલમ ૫૦૪, ૫૦૬(૨) ૧૧૪ મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.