અગાઉ સ્થાનિક તંત્ર દ્વારા ભીનું સંકેલાઈ ગયા બાદ ગાંધીનગર થી તપાસનો આદેશ આવતા પ્રકરણ ગરમાયું મોરબી:વાંકાનેરને ફાળવવામાં આવતા સસ્તા અનાજના જથ્થામાં ગેરરીતિ થતી હોવાની ફરિયાદ અગાઉ ઉઠવા પામી હતી . પરંતુ ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા ભીનું સંકેલી લેવામાં આવ્યું હતું .ત્યારે હવે ફરી ગાંધીનગરથી આ કૌભાંડના તપાસના આદેશ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ગત ૨૨ જાન્યુઆરીના રોજ જાગૃત નાગરિક તૌફીક અમરેલિયાએ જિલ્લા કલેકટર , જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ નિયામક પુરવઠા શાખા ગાંધીનગરને વાંકાનેરના સસ્તા અનાજના કૌભાંડ વિશે લેખિત રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં તેઓએ જુલાઈ ૨૦૧૬થી ડિસેમ્બર -૨૦૧૮ દરમિયાન સસ્તા અનાજમાં થયેલી ગેરરીતિની આંકડાકીય માહિતી પુરાવા સાથે રજૂ કરી હતી. રજૂઆતના પગલે જિલ્લા કલેકટર દ્વારા પુરવઠા અધિકારી પાસે થી વાંકાનેર માં જતાં સસ્તા અનાજના જથ્થા નાં રેકોર્ડ મંગાવવામાં આવ્યા હતા.ત્યારબાદ આ પ્રકરણમાં ભીનું સંકેલાઈ ગયું હતું.પરંતુ ગાંધીનગર થી તપાસના આદેશ આવતા પ્રકરણ ગરમાયું છે.ત્યારે જાગૃત નાગરિકો તટસ્થ તપાસ થાય તેવી માંગ કરી રહ્યા છે.