વાંકાનેરમાં મિત્રના ઝઘડામાં સમજાવવા ગયેલા નિર્દોષ યુવકને છરીના ઘા ઝીકી હત્યા વાંકાનેર : વાંકાનેર શહેરમાં દિવાળીની રાત્રી રક્તરંજિત બની હતી, ઘેરથી વાળ કપાવવા નીકળેલા યુવકના પાડોશી મિત્રને ઝઘડો થયો હોય અને લોકો માર મારતા હોય બચાવવા માટે નવાપરા વાસુકી દાદાના મંદિર પાસે જતા ત્યાં હાજર રહેલા પાંચ શખ્સોએ છરીના ઘા ઝીકી દઈ અન્ય બે યુવાન મિત્રોને પણ માર મારતા તમામને સરકારી દવાખાને ખસેડવામાં આવતા યુવકનો મૃતદેહ જ પહોંચ્યો હતો. રાત્રે બનેલી આ ઘટનાને કારણે યુવકના પરિવારજનો અને અન્ય લોકો આરોપીઓની તત્કાલ ધરપકડ કરવાની માંગ સાથે નેશનલ હાઇવે ઉપર ચક્કાજામ સર્જી દેતા ત્રણ કલાક બાદ મામલો થાળે પડ્યો હતો.હત્યાના બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરના નવાપરામાં મિટ્ટીકુલ સામે રહેતા અને રીક્ષા ડ્રાઈવીંગ કરતા ફરિયાદી પ્રફુલભાઇ કેશુભાઈ કેરવાડીયા ઉ.51 નામના આધેડે ફ્રિયાયાદ નોંધવતા જાહેર કર્યું હતું કે, તેમનો નાનો પુત્ર ધ્રુવ ઉ.21 ગતરાત્રીના ઘેરથી 100 રૂપિયા લઈ વાળ કપાવવા માટે નીકળો હતો. જેમાં મુખ્યબજારમાં પહોંચતા જ ધ્રુવને તેમના પાડોશી રહેતા તેના મિત્ર વિપુલ દિનેશભાઇ સાથલીયાનો ફોન આવ્યો હતો કે, તેને કોઈએ માર મારેલ છે જેથી તું અહીં આવ. મિત્રનો ફોન આવતા જ મૃતક ધ્રુવ તેના મિત્ર દિપક મનસુખભાઇ પરેચા અને કરણ જયેશભાઇ કુંભારને લઈ વાસુકીદાદાના મંદિર પાસે રોયલ સિરામિકની કટ્ટ નજીક પહોંચ્યો હતો.જ્યાં આરોપી સાહિલ દિનેશભાઇ વિંઝવાડીયા, ઋત્વિક જગદીશભાઈ કોળી, અનિલ રમેશભાઈ કોળી, વિશાલ સુરેશભાઈ વિંઝવાડીયા રહે.તમામ નવા પ્રા અને આરોપી કાનો દેગામા રહે.વિસીપરા વાંકાનેર વાળા હાજર હોય જેથી આરોપીઓને સમજાવવા જતા પાંચેય આરોપીઓએ ધ્રુવ તેમજ તેમના મિત્ર દિપક મનસુખભાઇ પરેચા અને કરણ જયેશભાઇ કુંભારને ઢીંકા પાટુનો માર મારવા લાગેલ હતા જેમાંથી આરોપી વિશાલે ધ્રુવને છાતીમાં છરીનો એક ઘા મારી દેતા ધ્રુવ ઢળી પડ્યો હતો. બાદમાં ત્રણેય મિત્રોએ ધ્રુવને હોસ્પિટલ પહોંચાડતા તબીબે ધ્રુવને મૃત જાહેર કર્યો હતો.હત્યાના આ બનાવ અંગે મૃતકના પિતાની ફરિયાદને આધારે પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.બીજી તરફ મિત્રને બચાવવા ગયેલા ધ્રુવની હત્યાના બનાવને પગલે નવાપરામાં સ્થાનિક રહેવાસીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો અને સવારથી નેશનલ હાઇવે ઉપર ચક્કાજામ કરી દિવાળીના સપરમા દિવસમાં યુવકની હત્યા કરનાર આરોપીઓને તત્કાલ ઝડપી લેવા માંગણી કરી ત્રણ કલાક સુધી રોડ જામ કરતા પોલીસ અને સમાજના આગેવાનો દોડી આવ્યા હતા અને સમજાવટ બાદ ચક્કાજામ હટ્યો હતો. નોંધનીય છે, મૃતક ધ્રુવને એક મોટો ભાઈ અને એક નાની બહેન છે. મૃતક ધ્રુવ ત્રણેય સંતાનોમાં વચેટ હતો.