દેશી ઓપિનિયન -એકઝિટ પોલમાં બન્ને પક્ષે હાર-જીતના દાવાઓ વચ્ચે કરોડો રૂપિયાની શરતો પણ લાગી મોરબી : લોકશાહીના મહાપર્વમાં આજે પ્રથમ ચરણનું મતદાન પૂર્ણ થયું છે ત્યારે ટૂંક સમયમાં જ ટીવી ચેનલોના એક્ઝિટ પોલના તારણો બહાર આવવા લાગશે, જો કે, પ્રોફેશનલ ઓપિનિયન -એકઝિટ પોલના તારણો સાચા પડે કે, ન પડે પરંતુ સ્થાનિક નાગરિકોના પોતાના મંતવ્યો કંઈક અલગ અને અનોખા હોય છે. મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો ઉપર આજે સવારે મતદાન શરૂ થયાથી મતદાન પૂર્ણ થયા સુધી મતદારો અને આમ જનતામાં કોણ જીતશે ? ક્યાં ઉમેદવારનું પલડું ભારે લાગે છે તે સહિતની બાબતો ચર્ચાના કેન્દ્રમાં રહી હતી ખાસ કરીને મોરબીમાં તો ચોરે ને ચૌટે કાનાભાઇ કે, જેન્તીભાઇ ? એક જ મુદ્દે ચર્ચાઓ ચાલી હતી. વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબબકામાં આજે મોરબી જિલ્લાની ત્રણ બેઠકોમાં મતદારોએ સવારથી ઉત્સાહભેર મતદાન કર્યું હતું અને સાંજ સુધી આ સિલસિલો ચાલુ રહેતા વર્ષ 2017ની જેમ જ આ વખતે પણ ઉંચા મતદાનની શક્યતા જોવાઈ રહી છે. જો કે આજે દિવસ દરમિયાન મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કાનભાઈનું કેવું ચાલે છે ? જેન્તીભાઈનું કેવું જોર છે ? આ મુદા ઉપર સવારથી સાંજ સુધી તરેહ -તરેહની ચર્ચાઓ ચાલી હતી. જોકે આજના દિવસે લગ્નપ્રસંગો પણ મોટી સંખ્યામાં યોજાયા હતા અને ત્યાં પણ વેવાઇવેલાઓ અને મહેમાનો વચ્ચે ચૂંટણીનો મુદ્દો ચર્ચામાં કેન્દ્ર સ્થાને રહ્યો હતો. વધુમાં મોરબી જિલ્લાની ટંકારા બેઠક અને વાંકાનેર બેઠક ઉપર પણ મતદારોએ અદમ્ય ઉત્સાહ દાખવી મતદાન કર્યું હતું. જોકે, મજાની વાત તો એ છે કે એન્ટી ઇન્કબન્સી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, ખેડૂતોના પ્રશ્નો જેવી બાબતો વચ્ચે મતદારોએ મૌન ધારણ કરી લીધું હોય રાજકીય પક્ષો પણ આ ચૂંટણીમાં ભારે મૂંઝવણમાં મુકાયા હતા ત્યારે મોરબી, વાંકાનેર અને ટંકારા બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસાકસીની ચૂંટણી સ્પર્ધામાં આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાને હોય મોરબીમાં કાનભાઈ આવશે કે જેન્તીભાઇ ? ટંકારામાં લલિતકાકા આવે છે કે દુલાકાકા ? અને વાંકાનેરમાં જીતુભાઇ આવશે કે મહમદ જાવીદ પીરઝાદા એ તો આવનારી 8 ડિસેમ્બરે મતગણતરી બાદ જ ખબર પડશે.