બન્ને હવે આર્મીની તાલીમ લઈને મા ભોમની રક્ષા કરશે વાંકાનેર : વાંકાનેરની દોશી કોલેજના અનસીસીના બે કેડેટની ભારતીય સેનામાં પંસદગી કરવામાં આવી છે. વાંકાનેરના આ બન્ને જાંબાઝ યુવાનો હવે આર્મીની તાલીમ લઈને મા ભોમની રક્ષા કરશે. આ બન્ને યુવાનોએ દેશ સેવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરીને વાંકાનેર શહેરનું ગૌરવ વધાર્યું છે. એચ.એન. દોશી આર્ટસ એન્ડ આર.એન.દોશી કોમર્સ કોલેજ વાંકાનેરમાં અભ્યાસ કરતા રણજીત કાળુંભાઈ ડાભી અને પ્રવીણ ભુપતભાઈ કોલેજમાં ચાલતી વધારાની પ્રવૃત્તિ એનસીસીમાં જોડાઈને એનસીસી ઓફિસર ડો.વાય.એ.ચાવડાના માર્ગદર્શન હેઠળ 2019 માં સારા ગ્રેડથી એનસીસીમાં સી પ્રમાણપત્ર મેળવ્યું હતું. જેથી, હાલમાં ભારતીય સેનાની ભરતીમાં આ બન્ને એંનસીસીના કેડેટની સીધી નિમણુંક થઈ છે. ભારતીય સેના ભરતી બોર્ડ પ્રમાણે એનસીસીમાં સી પ્રમાણપત્ર મેળવ્યું હોય તેઓને લિખિત પરીક્ષા આપવાની હોતી નથી. જેથી, હવે વાંકાનેરના આ બન્ને યુવાનો આર્મીની સઘન તાલીમ લઈને મા ભોમની રક્ષા કરશે. જે બદલ આ બન્ને કેડેટને ટ્રસ્ટી મંડળ, કોલેજના સેક્રેટરી ચિરાગભાઈ શેઠ, આચાર્ય ડો. વાય.એમ. ચુડાસમા, એનસીસી ઓફિસર ડો. વાય.એ.ચાવડા અને કોલેજના સમગ્ર સ્ટાફગણે અભિનંદન પાઠવ્યા છે.