કોંગ્રેસના સદસ્યના એક પ્રશ્ન સિવાયના તમામ પ્રશ્નો એજન્ડામાં સમાવવામાં આવ્યા : કોંગ્રેસ અગ્રણીઓએ તેમના સદસ્યો દ્વારા મુકાયેલા પ્રશ્નો અંગે આપી વિગતોવાંકાનેર : વાંકાનેર નગરપાલિકાનું આવતીકાલે ગુરૂવારે સાંજે 5 વાગ્યે જનરલ બોર્ડ યોજાનાર છે. જેમાં લોક સમસ્યા અંગે પૂરતી ચર્ચા થાય તેવી કોંગ્રેસે માંગ કરી છે. આ સાથે કોંગ્રેસ અગ્રણીઓએ તેમના સદસ્યો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અંગે પત્રકાર પરિષદ યોજી વિગતો જાહેર કરી છે.આ અંગે કોંગ્રેસ અગ્રણી શકિલભાઈ પીરઝાદાએ જણાવ્યું કે જનરલ બોર્ડમાં વાંકાનેરના લોકોની સમસ્યા અંગે વાત કરવામાં આવે તેવી માંગ છે. કોંગ્રેસના સદસ્યોની મોટાભાગના પ્રશ્નોનો એજન્ડામાં સમાવેશ કરવામાં આવ્યો છે. એક દરખાસ્તનો સમાવેશ કરવામાં આવ્યો નથી. મહંમદભાઈ રાઠોડએ આપેલો મુદ્દો એજન્ડામાં સમાવાયો છે તેઓએ માંગ કરી છે કે ઓજી વિસ્તારને પાલિકામાં સમાવવામાં આવે. અને જ્યાં સુધી સમાવેશ ન થાય ત્યાં સુધી પાણી સહિતની સવલતો આપવામાં આવે. એકતાબેન ઝાલાનો મુદ્દો પણ એજન્ડામાં સમાવવામાં આવ્યો છે. તેઓએ કહ્યું છે કે નગરપાલિકાને સીમાંથી બી ગ્રેડમાં અપગ્રેડ કરવામાં આવી છે. તો નગરપાલિકાનું વિઝન શુ છે તે રજૂ કરવામાં આવે. સાથે તેઓએ પીવાના પાણી અને ગેસ લાઈન અંગે પણ માંગ કરી છે. ઉપરાંત બજારમાં લેડીઝ ટોયલેટ બનાવવા અને નગરપાલિકામાં ખૂટતા કર્મચારીઓની ભરતી કરવાની માંગ કરી છે. મહિલા કોંગ્રેસ પ્રમુખ જાગૃતિબેન ચૌહાણે જણાવ્યું કે મેં એજન્ડામાં સમાવવા 10 જૂને અરજી આપી હતી. જે ધ્યાને લેવામાં આવી નથી. જેથી ગઈકાલે મે પ્રાદેશિક કમિશનરને રજુઆત પણ કરી છે. વિપક્ષ નેતામહમદભાઈ રાઠોડે જણાવ્યું છે કે આવતીકાલના જનરલ બોર્ડના એજન્ડામાં અમારા જે મુદ્દાઓ લેવામાં આવ્યા છે. તે પ્રમુખ પદેથી વંચાણે લઈ યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ છે.કોંગ્રેસ અગ્રણીઓના જણાવ્યા મુજબ વાંકાનેર નગરપાલિકાની તા. 8 એપ્રિલની સામાન્ય સભા 28 પૈકી 27 સદસ્યોની હાજરીમાં યોજવામાં આવી હતી. જેમાં વિરોધપક્ષ કોંગ્રેસ દ્વારા વર્ષ 2025/26 ના બજેટ સહીત વાંકાનેર શહેરના ભંગાર રોડ - રસ્તા, ઉભરાતી ભૂગર્ભ ગટરના ગંદા પાણી, તૂટી ગયેલા ગટરના ઢાંકણા, ફિલ્ટર વગરનું પીવાનું પાણી, આગ બુજાવવાના ફાયર ફાયટરના ભંગાર થઇ ગયેલા સાધનો વગેરે ગંભીર મુદ્દાઓ પર જાહેર જનતાની સુખાકારી અર્થે ચર્ચા વિચારણા કરવા માંગણી કરવામાં આવી હતી. પરંતુ શાસક પક્ષ ભાજપ દ્વારા વાંકાનેર શહેરની ગંભીર સમસ્યાઓ બાબતે કોઈપણ ચર્ચા વગર, એજન્ડાના 1 થી 19 મુદ્દાઓનું વાંચન પણ કર્યા વગર, માત્ર 2 મિનિટમાં કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી હતી.