અખિલ ભારતીય કોળી સમાજની પ્રાંત કલેકટરને રજુઆત વાંકાનેર : અખિલ ભારતીય કોળી સમાજે પ્રાંત કલેકટર રજુઆત કરી હાલના લોકડાઉનમાં તમામ ધંધા રોજગાર ઠપ્પ હોય સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો મુશ્કેલીઓમાં મુકાયા હોવાથી તેમને આ પરિસ્થિતિમાંથી ઉગારવા માટે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને અસરકારકતાથી જીવનજરૂરી ચીજવસ્તુઓ અને રોકડ સહાય મળી શકે તેવી સુચારુ વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે. રજુઆતમાં જણાવ્યું હતું કે લોકડાઉનના કારણે તમામ ધંધા રોજગાર બંધ થઈ ગયા હોવાથી રોજે રોજનું કમાઈ ખાતા અનેક સામાન્ય વર્ગના લોકો મુશ્કેલીઓમાં મુકાય ગયા છે. સાથેસાથે મધ્યમ વર્ગ પણ ધંધા રોજગાર બંધ થવાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. જો કે સરકાર દ્વારા આવા લોકોને જયારે જીવનજરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે ત્યારે વિતરકોની વ્હાલા દવલાની નીતિ તેમજ ગેરરીતિની ફરિયાદો પણ સામે આવે છે. જેથી, ખરા લાભાર્થીઓ આ વસ્તુઓના લાભથી વંચિત રહી જાય છે.અને વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારોમાં આવી જીવનજરૂરી ચીજવસ્તુઓનું વિતરકો દ્વારા યોગ્ય રીતે વિતરણ ન થયું હીવની પણ ફરિયાદ ઉઠી હતી. ઉપરાંત લોકોના કામધંધા બંધ હોય તેમને ઘર ચલાવવામાં મુશ્કેલી ન પડે તે માટે રોકડ સહાય આપવી જરૂરી છે. તેથી, સામાન્ય અને મધ્યમ વર્ગને રાહત થાય તે માટે આવનારી સંભવિત પરિસ્થિતિઓ નિવરવા માટે તેમને અસરકારકતાથી જીવનજરૂરી ચીજવસ્તુઓ મળે અને કેશડોલ્સ ચુકવવાની પણ માંગ કરી હતી.