પંચાસર ગામના ગૌરક્ષકો દ્વારા સીટી પોલીસ ઈન્સ્પેક્ટરને લેખિત રજૂઆત વાંકાનેર : વાંકાનેરમાં ગૌવંશ પર અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે થતા હુમલા અંગે કાર્યવાહી કરવા ગૌરક્ષદળના પ્રમુખ દિપકભાઈ રાજગોર, અરવિંદભાઈ પનારા તથા રાજુભાઈ પંચાસરા દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ.ને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવાયું છે કે વાંકાનેર તાલુકાના પંચાસર ગામે ગાય, વાછરડા અને ખૂંટિયા ૫૨ અવાર-નવાર તીક્ષ્ણ હથિયાર જેવા કે ધારીયા, કુહાડી દ્વારા હુમલા કરી મારી નાખવાના પ્રયાસ કરવામાં આવે છે. તેમજ એસિડ છાંટીને કે હથિયારથી હુમલો કર્યા બાદ ગૌવંશના પગને રાંઢવાથી બાંધી દેવામાં આવે છે. પંચાસર ગામે અગાઉ 4 વખત આવી હિચકારી ઘટના બનેલ છે. અને આ મહિનામાં હાલમાં ત્રીજીવાર ગૌવંશ પર હુમલો કરવામાં આવેલ છે. આવા જઘન્ય કૃત્યને રોકવા સંસ્થા દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે. પરંતુ પોલીસ દ્વારા કાયદાકીય રીતે અસામાજિક તત્વોને પકડી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.