વૃદ્ધને પેરાલિસિસનો હુમલો આવતા અને શ્વાસ લેવામાં તકલીફ થતાં 108ની ટીમે તાત્કાલિક પ્રાથમિક સારવાર કરી સમયસર રાજકોટ પહોંચાડ્યા વાંકાનેર: વાંકાનેરની 108 ઇમર્જન્સી સર્વિસે 76 વર્ષના વૃદ્ધ ગોપાલભાઈ ડાયાભાઈ મકવાણાનો જીવ બચાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વૃદ્ધને પેરાલિસિસનો હુમલો આવતા અને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમની સ્થિતિ ગંભીર બની ગઈ હતી.મળતી માહિતી મુજબ બપોરે 11:32 કલાકે, SDH વાંકાનેરની સરકારી હોસ્પિટલમાંથી 108 પર ફોન કરવામાં આવ્યો હતો. જેમાં જણાવ્યા અનુસાર દર્દીની તબિયત વધુ ખરાબ થઈ રહી હતી. 108 ટીમના EMT પ્રવિણભાઈ મેર અને પાઇલટ રવિભાઈ દેવમુરારી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને પ્રાથમિક સારવાર શરૂ કરી. વૃદ્ધને રાજકોટ લઈ જતી વખતે રસ્તામાં તેમની તબિયત ફરી લથડી, પરંતુ ટીમે સમયસર જરૂરી સારવાર આપીને તેમનો જીવ બચાવ્યો. ત્યારબાદ, તેમને વધુ સારવાર માટે રાજકોટની PDU સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે 108 સેવા જીવનદાતા સાબિત થઈ રહી છે.