એસીબીની ટીમે કર્મચારીના ઘરની જડતી લીધી વાંકાનેર : વાંકાનેર સબ રજિસ્ટ્રાર કચેરીનો કર્મચારી લાંચ લેતા રંગે હાથ પકડાતા એસીબીએ તેની ધોરણસરની અટકાયત કરી હતી. ત્યારબાદ એસીબીએ કર્મચારીને કોર્ટમાં રિમાન્ડ અર્થે મોકલતા કોર્ટ દ્વારા બે દિવસની રિમાન્ડ મંજુર કરી છે. આ સાથે એસીબીએ કર્મચારીના ઘરની જડતી પણ લીધી હતી. મળતી વિગતો અનુસાર વાંકાનેરમાં જમીન મકાનના લે વેચનું કામ કરતા અરજદાર પાસેથી સબ રજિસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતા અને રાજકોટ રામકૃષ્ણ નગરમાં રહેતા કર્મચારી સંજયભાઈ કાંતિભાઈ મહેતાએ દસ્તાવેજ બનાવવા માટે જમીન મકાનના ધંધાર્થી પાસેથી રૂ.40 હજારની લાંચની માંગણી કરી હતી.જોકે રકઝકના અંતે રૂ.10 હજારની લાંચ આપવાનું નક્કી થયું હતું.અને તે જ વખતે અરજદારે સબ રજિસ્ટ્રારને રૂ.5 હજારની લાંચની રકમ આપી દીધી હતી. બાદમાં બાકીની રૂ.5 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઇ ગયા હતા. એસીબીએ આ કર્મચારી સામે લાંચનો ગુનો નોંધી તેની અટકાયત કરી હતી. બાદમાં તેને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે આ કર્મચારીના બે દિવસના રિમાન્ડ મંજુર કરી આપ્યા હતા. આ ઉપરાંત એસીબીની ટીમ દ્વારા કર્મચારીના ઘરની જડતી પણ લેવામાં આવી હતી. જો કે તેમાંથી કઈ ખાસ હાથ લાગ્યું ન હતું. હાલ આ કેસની તપાસ પીઆઇ પરગડીયા ચલાવી રહ્યા છે.