મર્ડર કેસમાં માત્ર એક જ નહીં અન્ય શખ્સોની પણ સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરતો મૃતક યુવતીનો પરિવાર વાંકાનેર : વાંકાનેરના ચકચારી કવિતાબેન ચૌહાણના મર્ડર કેસમાં મૃતક કવિતાબેનના પરિવારજનોએ હત્યા પાછળ માત્ર એક જ નહીં અન્ય શખ્સોની પણ સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરીને તપાસ એલસીબીને સોંપવાની માંગ કરી હતી. જેના પગલે તપાસ એલસીબીને સોંપવામાં આવી છે. વાંકાનેરમાં ગત તારીખ ૭/૨/૧૯ ના રોજ નેશનલ હાઇવે પર આવેલ સૂર્યા ઓઇલમિલમાં બીલિંગનું કામ કરતી કવિતાબેન કેતનભાઇ ચૌહાણ ઉ.વ. ૨૦નું માથામાં પાછળના ભાગે લોખંડના કોઈ બોથડ વજનદાર હથિયાર વડે ઘા મારી તથા ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા મારી મરણતોલ ઇજા કરી તેમની હત્યા કરવામાં આવેલ. આ બનાવ મામલે યુવતીના પિતા કેતનભાઇ પન્નાભાઈ ચૌહાણ ઉ.વ. ૪૪ રહે. વીસીપરા વાંકાનેર વાળાએ વાંકાનેર સિટી પોલીસ મથકે ફરિયાદ કરી હતી કે તેમની પુત્રી કવિતા સાથે મેનેજર તરીકે કામ કરતો આરોપી ધીરજ જીવાભાઈ આહીર રહે ભાટીયા સોસાયટી વાંકાનેર મૂળ જુનાગઢ વાળાએ કોઈ કારણોસર ઉશ્કેરાટમાં આવી તેમની પુત્રીની હત્યા નિપજાવી છે વાંકાનેર સીટી પોલીસ મથકે આરોપી વિરુદ્ધ આઈ પી સી કલમ ૩૦૨ તથા જી.પી.એકટ ૩૭-૧-૧૩૫ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ સંદર્ભે મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાની સુચનાથી વાંકાનેર સીટી પીઆઇ એમ.વી. ઝાલાએ રહસ્યમય હત્યાની તપાસ તેજ ગતિમાં હાથ ધરેલ અને લાશને ફોરેન્સિક ડોક્ટરોની પેનલ હેઠળ રાજકોટ ખાતે પીએમ કરાવેલ જેમાં જાણવા મળેલ કે યુવતીને ગળાના ભાગે તેમજ માથામાં લોખંડના બોથડ પદાર્થ વડે મારવામાં આવતા તેમનું મૃત્યુ નીપજેલ છે જેથી ઘટના સ્થળે ફોરેન્સિક લેબ અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની મદદ લઇ તપાસ હાથ ધરેલ. ઓઇલ મિલ માલિકોના જણાવ્યા મુજબ કારખાનામાં સીસીટીવી બંધ હાલતમાં હોય પોલીસ દ્વારા સીસીટીવીનું ડીવીઆર કબજે કરી ફોરેન્સિક લેબમાં ચેક કરવામાં આવ્યું હતું અને પીઆઇ એમ.વી. ઝાલાએ આરોપી ધીરજ જીવાભાઈ આહીરની તાત્કાલિક ધરપકડ કરેલ. આરોપી ધીરજે કવિતાની હત્યા કર્યા બાદ સ્થળ પર હાજર રહેલ અને બીજા લોકોને બોલાવી યુવતી પડી જતાં મરણ થયાની સ્ટોરી ઉભી કરી હતી અને કવિતાને ઉપાડવા જતાં તેના કપડાં લોહીવાળા થઈ ગયેલ હોવાનું જણાવ્યું હતું. બાદમાં આ ચકચારી હત્યા પ્રકરણમાં પ્રેમપ્રકરણ કારણભૂત હોવાનું બહાર આવતા ચકચાર જાગી હતી. વાંકાનેર સીટી પોલીસે આરોપીની અટક કરી હથિયાર કબજે લઇ આરોપીને કોર્ટમાં રજૂ કરતાં તેમને જેલ હવાલે કરેલ. પરંતુ મૃતક યુવતીના પરિવારજનોને શંકા હતી કે આ મર્ડર કેસમાં અન્ય લોકોની પણ સંડોવણી હોવાની શક્યતા છે માટે ફરિયાદીએ સામાજિક અગ્રણી જિજ્ઞાસાબેન પાસે મદદ માંગતા તેમના દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી આ મર્ડર કેસની તપાસ મોરબી જિલ્લા એલસીબીને આપવા ભલામણ કરેલ જેની મંજૂરી મળતા હાલ આ તપાસ મોરબી જિલ્લા એલસીબી પીઆઇ વી.બી.જાડેજા અને પીએસઆઇ આર.ટી. વ્યાસ દ્વારા ચલાવવામાં આવશે.