ટંકારા : ટંકારામાં સમસ્ત ગુર્જર સુતાર તથા લુહાર સુતાર જ્ઞાતિ મંડળ દ્વારા દેવશિલ્પી ભગવાન શ્રી વિશ્વકર્માની જન્મ જયંતીની અત્યંત ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સતત 23માં વર્ષે યોજાયેલા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે 9-15 કલાકે સુતાર શેરી સ્થિત મોતીભાઈ વિરજીભાઈ બકરાણીયાની વાડી ખાતે શાસ્ત્રોક્ત વિધિ સાથે ભગવાન વિશ્વકર્માના પૂજનથી કરવામાં આવી હતી. પૂજન બાદ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરથી એક ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી, જે શહેરના મુખ્ય માર્ગો અને મેઈન બજારમાં ફરી હતી. ભગવાનના જયઘોષ સાથે નીકળેલી આ શોભાયાત્રામાં જ્ઞાતિના ભાઈઓ અને બહેનો પરંપરાગત વેશભૂષામાં જોડાયા હતા.બપોરે 12-15 કલાકે તમામ ભાવિકો માટે મહાપ્રસાદ (જ્ઞાતિ ભોજન) નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જ્ઞાતિમાં એકતા અને ભાઈચારાની ભાવના જોવા મળી હતી. ટંકારા તાલુકાના ખૂણે-ખૂણેથી આવેલા વિશ્વકર્મા વંશજોએ આ ધાર્મિક ઉત્સવનો લાભ લીધો હતો.આ મહોત્સવને સફળ બનાવવા માટે મંડળના અગ્રણીઓ અમૃતલાલભાઈ કારેલીયા, નવીનભાઈ બકરાણીયા અને અશોકભાઈ ભાલારાના માર્ગદર્શન હેઠળ મકનભાઈ મારુ, જગદીશભાઈ પીઠવા, ચંદુભાઈ કડેચા, શૈલેષભાઈ કડેચા, રમેશભાઈ બકરાણીયા, ભરતભાઈ સોલંકી અને રામજીભાઈ સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.