એક શામ અમર જવાનો કે નામ અંતર્ગત 100 જેટલા બાળ કલાકારો શાનદાર રીતે નાટક રજૂ કર્યું નાટક ; નાટક જોવા હકડેઠઠ જનમેદની ઉમટી પડી મોરબી : 23 માર્ચે ભગતસિંહ, રાજ્યગુરુ અને સુખદેવની શહાદતની યાદમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા શહીદ દિવસની ઉજવણીના ભાગરૂપે એક શામ અમરજવાનો કે નામ અંતર્ગત મોરબીમાં પ્રથમ વખત વીર માંગળાવાળો અને પદ્માવતી નાટકનું ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 100 જેટલા બાળ કલાકારો શાનદાર રીતે નાટક રજૂ કરતા આ નાટકને જોવા હકડેઠઠ જનમેદની ઉમટી પડી હતી. મોરબીના એસપી રોડ તથા ઘુનડા રોડ વચ્ચે આવેલ સનસીટી ગ્રાઉન્ડ ખાતે ગઈકાલે શહીદ દિવસની રાત્રે વીર માંગળાવાળો અને પદ્માવતી નામનું નાટક એકદમ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર આબેહૂબ રીતે પ્રસ્તુત કરાયું હતું. આ નાટક પુરુષાર્થ એજ્યુકેશન સિસ્ટમના ધો.10, 11માં ભણતા કુલ 100 જેટલા વિધાર્થી કલાકારોએ રજૂ કર્યું હતું. આ વિધાર્થીઓએ લોકોને છેક સુધી જકડી રાખે તે રીતે બખૂબીથી નાટક ભજવ્યું હતું. દરેક પાત્રો એકદમ ઐતિહાસિક લાગે અને વાતાવરણ, ઘટના, પ્રસંગને અનુપમ રીતે રજૂ કરવામાં આવ્યા હતા. આ તકે માતૃભૂમિ વંદન ટ્રસ્ટના અગ્રણી મહેશભાઈ ભોરણીયાએ જણાવ્યું હતું કે, શહીદ દિવસ નિમિત્તે ક્રાંતિકારીઓની સ્મૃતિમાં તેમજ મહર્ષિ સ્વામી દયાનંદની જન્મ જયંતીના ભાગરૂપે ક્રાંતિરથનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ક્રાંતિકારીઓની શૌર્યગાથાને રજૂ કરતી તસવીરો અને પુસ્તકો રથમાં રાખી આ ગામે ગામ જઈને ક્રાંતિકારીઓના યોગદાન વિશે લોકોને જાગૃત કરાશે. ખાસ કરીને પછાત વિસ્તારોમાં આ ક્રાંતિરથ પહોંચીને ત્યાં યજ્ઞ કરવામાં આવશે. જેમાં રામાયણ, મહાભારત જેવા પુસ્તકો રાખી વાંચન પણ કરવામાં આવશે. જ્યારે કોઈપણ જાતના ફંડફાળા વગર માત્ર સવયસેવકોના દાનથી વિનામૂલ્યે આ નાટક ભજવવામાં આવ્યું હતું. જેમાં વીર માંગડાવાળાની યશોગાથા સુંદર રીતે ભજવાઈ હતી.