મોરબી : મોરબીના વજેપર ગામમાં વિવિધ વિસ્તારોમાં ગણેશ ઉત્સવ દરમ્યાન અનેકતામાં એકતાના અદભુત દર્શન થયા હતા. ગણપતિ વિસર્જનના દિવસે તમામ વિસ્તારોના ગણપતિ ભાવિકો માટે એક જ સ્થળે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વજેપર ગામમાં અલગ-અલગ વિસ્તારોમાં વિવિધ ગણેશ ઉત્સવ મંડળો દ્વારા કુલ સાત આયોજનો થયા હતા. જેમાં 'ગજાનંદ મિત્ર મંડળ', 'સબકા રાજા', વજેપર 8 નંબર કા રાજા', 'વજેપર 7 નંબર કા રાજા', 'વજેપર 4 નંબર કા રાજા', 'વજેપર 19 નંબર કા રાજા' અને 'વજેપર 12 નંબર કા રાજા' આમ કુલ 7 ગણેશ મંડળો દ્વારા વિવિધ વિસ્તારોમાં ગણેશ ઉત્સવના આયોજન થયા હતા. તમામ વિસ્તારોના સ્થાનિકો દ્વારા આ દરમ્યાન ભાવિકોએ આસ્થાભેર શ્રીજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ 7 ગ્રુપ તેમજ વજેપર ગામ સમસ્ત દ્વારા નાત-જાતના ભેદભાવ રાખ્યા વગર ઉત્સવના સમાપન પહેલા મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 6000 ધર્મપ્રેમી લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. મહાપ્રસાદ બાદ તમામ મંડળોએ એક સાથે ગણેશ વિસર્જન માટે ભીની આંખે પ્રસ્થાન કર્યું ત્યારે આગલા વર્ષે ગણપતિ દેવાને જલ્દી પધારવાના ગગનભેદી નારાઓ લગાવ્યા હતા.