છાત્રાઓને ઈકો બ્રિક્સ અને ચકલીના માળા બનાવવાનું શીખવવામાં આવ્યું : એન્વાયરમેન્ટ જાગૃતિ માટેની રેલી પણ યોજાઈ મોરબી : ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી ( જેડા) અને ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત 'આર્યભટ્ટ' લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીના ઉપક્રમે 'મિશન લાઈફ' અંતર્ગત આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય વાંકાનેર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એલ.કે. સંઘવી કન્યા વિધાલયની વિદ્યાર્થીની બહેનોને ઈકો બ્રિક્સ અને ચકલીના માળા બનાવવાનું દીપેનભાઈ ભટ્ટ દ્વારા શીખવાડવામાં આવ્યું હતું. શાળાની વિદ્યાર્થીઓ દ્વારા એન્વાયરમેન્ટ જાગૃતિ માટેની રેલી ૨૨૦ વિદ્યાથીનીઓ દ્વારા યોજવામાં આવી હતી. શાળાના ઇકો ક્લબના ટીચર સોનલબેન ઠુમર દ્વારા ગ્રીન એનવાયરમેન્ટ માટેના સંકલ્પ લેવડાવવામાં આવ્યો. શાળામાં વૃક્ષારોપણ અને વેસ્ટ વસ્તુઓમાંથી નાનાં કુંડા બનાવી રોપા પણ ઉગાડવામાં આવ્યા હતા. અને 'આર્યભટ્ટ' લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીનાં સંચાલક દિપેનભાઈ ભટ્ટનું આ કુંડા વડે સ્વાગત કરવામાં આવ્યું હતુ. શાળાના આચાર્ય દર્શનાબેન જાનીએ શાળામાં આ અવરનેસ કાર્યક્રમ ગોઠવવા બદલ દીપેનભાઈ ભટ્ટ અને 'આર્યભટ્ટ' લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીનો આભાર વ્યક્ત કર્યો હતો.