મૂળ ઉત્તર પ્રદેશના વતની બે શ્રમિક રાજકોટથી નલિયા મજૂરી કરવા જતાં હતાં ત્યારે ઊંઘમાં જ કાળ ભેટી ગયો મોરબી : મૂળ ઉતરપ્રદેશના વતની બે શ્રમિકો ઇકો કારમાં બેસી રાજકોટથી નલિયા જતા હતા ત્યારે માળીયા નજીક ઇકો કાર કન્ટેનરની પાછળ અથડાતા કારમાં પળવારમાં જ આગ ભભૂકી ઉઠતા કારમાં ઊંઘી રહેલા બને શ્રમિકો આગમાં જીવતા ભૂંજાઈ જતા કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ ગંભીર ઘટનામાં માળીયા પોલીસ મથકમાં ઇકો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ કરુણ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ ઉતરપ્રદેશના વતની અને હાલમાં રાજકોટ કાલાવડ રોડ ઉપર એવરેસ્ટ પાર્કમાં રહેતા અતુલભાઇ જગદીશભાઇ શર્માએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું છે કે, ગઈકાલે તેઓ સંતોષભાઇ રામેન્દ્રસીંગ પરમાર, તથા દિવાકરભાઇ સોરણસીંગ ચૌહાણ સાથે જીજે -03- એલબી-4380 નંબરની ઇકો કારમાં બેસી રાજકોટથી નલિયા જતા હતા ત્યારે માળીયા નજીક આવેલ પંચવટી ગામના પાટીયા પાસે આવેલ રેલ્વે ઓવરબ્રીજ ઉપર તેમની ઇકો કાર કન્ટેનર પાછળ અથડાઈ હતી. વધુમાં ઇકો કાર કન્ટેનરમાં અથડાતા પળવારમાં જ ઇકો કારમાં આગ ભભૂકી ઉઠી હતી. આ અકસ્માતની કરુણતા તો એ હતી કે અકસ્માત સર્જાયો તે સમયે શ્રમિક સંતોષભાઇ રામેન્દ્રસીંગ પરમાર, તથા દિવાકરભાઇ સોરણસીંગ ચૌહાણ ઇકોમાં થાકને કારણે ઊંઘી રહ્યા હોય ઊંઘમાંથી જાગીને ગાડીની બહાર નીકળે તે પૂર્વે જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા બન્ને આગમાં ભડથું થઈ ગયા હતા. અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા અતુલભાઇ જગદીશભાઇ શર્માએ ઇકો કારના ચાલક ગોપાલભાઇ મગનભાઇ રામાનુજ રહે.રાજકોટ વાળા વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે ઇકો ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ ૨૭૯,૩૩૭,૩૩૮,૩૦૪(અ) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.