અગાઉ ત્રણ દિવસથી સુધી ટ્રાફિકજામ રહ્યા બાદ ફરી એ જ મોકાણ : ભારે વાહનોના થપ્પા લાગ્યા મોરબી : મોરબીથી ક્ચ્છ હાઇવે ઉપર માળીયા હરિપર ગામ પાસે રોડનું કામ ચાલતું હોય રોડના કોન્ટ્રાક્ટરની અણઘડ કામગીરીના કારણે હમણાંથી ટ્રાફિકજામની સમસ્યા વકરી રહી છે. જેમાં થોડા દિવસો અગાઉ લગાતાર ત્રણ દિવસ સુધી ટ્રાફિકજામ રહ્યા બાદ આજે ફરી એ જ મોકાણ સર્જાઈ છે. ટ્રાફિકજામને કારણે ભારે વાહનોના થપ્પા લાગી ગયા છે. માળીયાથી છેક સુરજબારીના પુલ સુધી આજે ફરી ટ્રાફિકજામ સર્જાયો હતો. ટ્રાફિકજામને કારણે હાઇવે પર ભારે વાહનોની કતારો લાગી ગઈ છે અને વાહન પરિવહન ઠપ્પ થઈ જતા અનેક વાહનચાલકો મુશ્કેલીમાં મુકાય ગયા છે. માળીયાથી છેક સુરજબારીના પુલ સુધીના લાંબા અંતરમાં ભારે વાહનોની લાઈનો લાગી છે. એકપણ વાહન ન નીકળી શકે તે રીતે ટ્રાફિકજામ સર્જાયો છે. જેથી, વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે માળીયાના હરિપર પાસે કચ્છ હાઇવે ઉપર રોડનું કામ ચાલી રહ્યું છે. પણ રોડના કોન્ટ્રાકટરની ઘોર બેદરકારીને કારણે છેલ્લા કેટલાક દિવસોથી ભયંકર ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી છે. જો કે રોડના કોન્ટ્રાકટરે રોડના કામ દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થા ન કરતા અગાઉ ત્રણ દિવસ સુધી માળીયા કચ્છ હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. જેમાં ગઈકાલે એક દિવસે ટ્રાફિક બરોબર ચાલ્યા બાદ આજે ફરીથી એ જ સમસ્યા સર્જાય છે. એથી, તંત્ર આ ટ્રાફિકજામની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી વાહનચાલકોએ માંગ ઉઠાવી છે.