લક્ષ્મીનગર ગામે પ્રગતિશીલ ખેડૂતના ખેતરમાં કપાસ ઉપર ડ્રોન વડે નેનો યુરિયાનો છંટકાવ થશે મોરબી : રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો આધુનિક ડ્રોન ટેક્નોલોજીનો આસાનીથી ઉપયોગ કરી શકે તે માટે વિશેષ યોજના શરૂ કરી છે જે અન્વયે આવતીકાલે સવારે નવ વાગ્યે મોરબીમાં પ્રથમ વખત લક્ષ્મીનગર, નવા સાદુળકા ગામે ડ્રોન ટેકનોલોજી મારફતે નેનો યુરીયાના છંટકાવ કરવામાં આવશે. કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ યોજનાનું આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી હસ્તે ગાંધીનગર ખાતેથી થનાર છે. જેના સમાંતર હવામાનની અનુકુળતા મુજબ મોરબી જીલ્લામાં લક્ષ્મીનગર, નવા સાદુળકા ગામે નારણભાઇ ઓધવજીભાઇ દેસાઇના ખેતરમાં નવ વીઘા કપાસના વાવેતરમાં ડ્રોન ટેકનોલોજી મારફતે નેનો યુરીયાના છંટકાવ કરાવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જે ખેડૂતો પોતાના ખેતર,વાડીમાં નેનો યુરિયા અથવા તો દવાનો ડ્રોન મારફતે છંટકાવ કરાવવા ઇચ્છતા હોય તો તેઓએ આઈ-ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઇન નોંધણી કરાવવી ફરજીયાત છે જેમાં સબસીડી પણ ઉપલબ્ધ હોવાનું ખેતીવાડી વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે.