આ યુદ્ધ બાદ બાંગ્લાદેશ વિશ્વના નકશામાં અસ્તિત્વમાં આવ્યું મોરબી : દર વર્ષે તા. 16 ડિસેમ્બરના દિવસે ભારતમાં વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ એવો છે કે દરેક ભારતીય નાગરિક ગર્વ કરી શકે છે. આજના દિવસે જ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતે પાકિસ્તાન પર વિજય હાસલ કરી હતી. જેના લીધે 16 ડિસેમ્બરે વિજય દિવસ મનાવવામાં આવે છે. વર્ષ 1971માં આજના દિવસે જ ભારતને પછાડવા માટે આવી પહોંચેલી પાકિસ્તાનની એક મોટી સેનાને આપણા મુઠ્ઠીભર સૈનિકોએ હાડકાખોખરા કરી નાખ્યા હતાં. 1971ના યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને સજ્જડ હારનો સામનો કરાવ્યો હતો. ત્યારબાદ પૂર્વ પાકિસ્તાનને પણ આઝાદી મળી હતી જે આજે બાંગ્લાદેશના નામે ઓળખાય છે. આ યુદ્ધ બાદ પાકિસ્તાનની સેનાના કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ એ એ કે નિયાજીએ પોતાની સેનાના લગભગ 93000 સૈનિકો સહિત ભારતીય સેના સામે આત્મસમર્પણ કરવું પડ્યું હતું. આ યુદ્ધ ભારત માટે ઐતિહાસિક અને દરેક દેશવાસીના મનમાં ઉમંગ પેદા કરનારું સાબિત થયું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલેલાં આ યુદ્ધમાં જનરલ માણેકશા ભારતીય સેનાના પ્રમુખ હતા. આ યુદ્ધ બાદ બાંગ્લાદેશ વિશ્વના નકશામાં અસ્તિત્વમાં આવ્યું. આ યુદ્ધમાં ભારતના 3900 જવાન શહિદ થયા. જ્યારે 9851 જવાન ઘાયલ થયા. ભારતીય સેનાના આ પરાક્રમને યાદ રાખવા માટે અને બિરદાવવા માટે આજે વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.