વિશ્વશાંતિના ચાહક એવા ઉમાશંકર જોશી એ કવિતાઓ, વાર્તાઓ, એકાંકીઓ લખી ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું ગુર્જર ગિરાના શબ્દ શિલ્પી અને ગાંધીયુગના ગુજરાતી ભાષા સાહિત્યના મહાન સર્જક, બહુમુખી પ્રતિભા ધરાવતા ગુજરાતી કવિ ઉમાશંકર જોશીનો જન્મ 1911માં 21 જુલાઈના રોજ ઇડર પાસેના બામણા ગામમાં થયો હતો. પિતાનું નામ જેઠાલાલ અને માતાનું નામ નવલબહેન હતું. પ્રાથમિક શિક્ષણ બામણાની પ્રાથમિક શાળામાં લીધું હતું. ચોથા ધોરણથી આગળ અભ્યાસ કરવા માટે ઇડર આવ્યા. 1927માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી. 1928થી 1930 દરમિયાન ગુજરાત કોલેજના વિદ્યાર્થી કોલેજકાળ દરમિયાન તેમની રચનાઓ કોલેજ મેગેઝીનમાં છપાતી હતી. તેમણે સત્યાગ્રહમાં પણ ભાગ લીધો અને ચૌદ અઠવાડિયાનો જેલવાસ ભોગવ્યો હતો. ફરીથી કોલેજમાં જોડાઈને એમ.એ. પ્રથમ વર્ગમાં પરીક્ષા પાસ કરી. મુંબઈમાં વિલેપાર્લેની ગોક્ળીબાઈ હાઈસ્કૂલ તથા ત્યારપછી સીડનહામ કોલેજમાં જોડાયા હતા, વર્ષ 1931માં 'વિશ્વશાંતિ’ ખંડકાવ્ય સાથે ગુજરાતી કવિતાક્ષેત્રે પદાપર્ણ કર્યું. 1937માં જ્યોત્સનાબેન સાથે લગ્ન કર્યા. 1939માં અમદાવાદ આવી ગુજરાત વર્નાકુલર સોસાયટીમાં સંશોધન – અધ્યાપનકાર્ય માટે જોડાયા. 1947માં તેમણે ‘ સંસ્કૃતિ’ માસિક શરૂ કર્યું અને તે 37 વર્ષ સુધી તે ચલાવ્યું. ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે બે વાર પસંદગી થઇ. તેઓ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. તેમણે ગુજરાતી સાહિત્યમાં કવિતા, વાર્તા, એકાંકી, સંશોધન, સંપાદન, વિવેચન અને અનુવાદ ક્ષેત્રે કામગીરી કરી હતી. તેમણે ‘વાસૂકી’ અને ‘ શ્રવણ’ ઉપનામથી તેમણે કેટલીક વાર્તાઓ લખી છે. તેમણે ‘ વિશ્વશાંતિ’ , ‘ગંગોત્રી’ ,’નિશીથ’, ‘પ્રાચીના’, ‘આતિથ્ય’ , મહાપ્રસ્થાન’ અને ‘ધારાવસ્ત્રો’ જેવા કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા છે. તેમની કવિતા પ્રકૃતિ, દીનજન વાત્સલ્ય, વિશ્વશાંતિ, માનવપ્રેમ વગેરે ભાવોને વ્યક્ત કરે છે. સાહિત્ય, શિક્ષણ અને સંસ્કાર ક્ષેત્રે તેમનું મૂલ્યવાન પ્રદાન છે. ‘શીલભદ્ર સારસ્વત’ અને વિશ્વશાંતિના ચાહક એવા ઉમાશંકર જોશીનું અવસાન 19 ડીસેમ્બર, 1988ના રોજ થયું હતું. ઉમાશંકર જોશીની પંક્તિઓ વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે વનસ્પતિ. સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગૂજરાતી. રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી, સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી. કરે બોલતા જે, ભર્યા ભાવ છાતી, રમો માતૃભાષા મુખે ગૂજરાતી. ત્રણ વાનાં મુજને મળ્યાં, હૈયું, મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ ! જા ચોથું નથી માંગવું. રચો, રચો અંબરચુંબી મંદિરો, ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા! મઢો સ્ફટિકે, લટકાવો ઝુમ્મરો, રંગે ઉડાવો જળના ફુવારા! ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી; જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા, રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી. સંપૂર્ણતા હુંથી પરી રહો સદા; આનંદ માગું હું અપૂર્ણતાનો. મરે છે મરે છે મરે છે રાત દિન પૂરતું મરતાં નથી આવડતું માનવીને. મને વ્હાલી વ્હાલી કુદરત ઘણી, કિંતુ અમૃતે મનુષ્યે છાયેલી પ્રિયતર મને કુંજ ઉરની. નથી મેં કોઈની પાસે વાંછ્યું પ્રેમ વિના કંઈ, નથી કે કોઈમાં જોયું વિના સૌંદર્ય કૈં અહીં. મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે. ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે. વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી; માથે ધરું ધૂળ વસુંધરાની. મારું જીવન એ જ મારી વાણી, બીજું એ તો ઝાકળ પાણી. મારા શબ્દો ભલે નાશ પામો, કાળ ઉદર માંહી વીરામો. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..