વાહન લે-વેચના ધંધામાં ઉછીના લીધેલા પૈસા ન ચૂકવી શકતા મકાન ખાલી કરાવી દેવાની ધમકી આપતા યુવાને પગલું ભર્યું મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર તુલસી પાર્કમાં રહેતા વાહન લે-વેચના ધંધાર્થીએ હાથ ઉછીના લીધેલા નાણાંની પઠાણી ઉઘરાણીથી કંટાળી ફિનાઈલ ગટગટાવી લેતા આ મામલે આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર તુલસીપાર્કમાં રહેતા લાખાભાઇ ખીમાભાઇ કુંભારવાડીયાએ વાહન લે વેચના ધંધામાં જરૂરત પડતા આરોપી કાનાભાઇ મોહનભાઇ ગોગરા રહે. શનાળાવાળા પાસેથી દોઢથી બે વર્ષ પહેલા હાથ ઉછીના નાણાં લીધા હતા જે હાલમાં પરત આપી શકે તેવી સ્થિતિમાં ન હોવા છતાં આરોપી કાનાભાઇ મોહનભાઇ ગોગરાએ વારંવાર ઉઘરાણી કરી ઘરે આવી નાણાં પરત આપી દેજે નહીં તો મકાન ખાલી કરાવી નાખીશ કહી જાનથી મારી નાખવા તેમના પરિવારજનોને ધમકી આપતા લાખાભાઈને લાગી આવતા પોતાના ઘેર ફિનાઈલ ગટગટાવી લીધું હતું. વધુમાં આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા હોસ્પિટલમાં સારવારમાં રહેલા લાખાભાઇ ખીમાભાઇ કુંભારવાડીયાની ફરિયાદને આધારે આરોપી કાનાભાઇ મોહનભાઇ ગોગરા વિરુદ્ધ આઇપીસી કલમ ૫૦૪,૫૦૬(૨) મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.