મોરબી : દેશભરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જામદુધઈ ગામે લગ્ન પ્રસંગમાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.લગ્નપ્રસંગ પણ દેશભક્તિના માહોલમાં રંગાઇ ગયો હતો. જામદુધઈ ગામના વતની વસંતભાઈ શામજીભાઈ ગાંભવાની પુત્રી જલ્પાબેન અને અપેક્ષાબેનના વિવાહ પ્રસંગમાં ગાંભવા પરિવાર દ્વારા આપણા રાષ્ટ્રીય પર્વ ગણતંત્ર દિવસ (26મી જાન્યુઆરી)ની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ખારચિયા ગામ નિવાસી રમેશભાઈ છગનભાઈ અંદોદરીયા પોતાના પુત્ર જયની જાન લઈ પધારેલ હતા.તેમજ લખતર નિવાસી અમૃતભાઈ કલાભાઈ બોડા પોતાના પુત્ર કુલદીપની જાન લઈ પધારેલ હતા.સરકારના આદેશ મુજબ અને કોરોના ગાઈડ લાઈન પ્રમાણે ત્રણેય પરિવારે ખૂબ જ ઓછા લોકોની હાજરીમાં વિવાહ ઉત્સવની સાથે સાથે દેશભક્તિનાં રંગે રંગાઈને રાષ્ટ્રગીત ગાઈ અને દેશભક્તિના નારા લગાવીને 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી. વિવાહ ઉત્સવની સાથે દેશભક્તિના પર્વની ઉજવણી કરીને ત્રણેય પરિવારે સમાજને એક નૂતન માર્ગ નિર્દેશ કર્યો હતો.પ્રસંગમાં હાજર તમામ જાનૈયા અને માંડવા પક્ષના લોકો પણ દેશભક્તિના રંગે રંગાઈને આ એક અનોખા વિવાહ ઉત્સવમાં જોડાઈને બંને નવ વિવાહિત યુગલને આશીર્વાદ અને વિવાહની શુભકામનાઓ પાઠવી હતી.