PGVCLને રજૂઆત કરવા જતાં ઉડાઉ જવાબ દેવાતો હોવાની રાવ મોરબી : મોરબી તાલુકાના અણીયાળી ગામમાં છ મહિનાથી અવારનવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાથી ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે. આ સમસ્યા અંગે તંત્રને રજૂઆત કરવા જતાં ઉડાઉ જવાબ દેવાતો હોવાની રાવ પણ રાવ ઉઠી છે. અણિયારી ગામમાં છેલ્લા છ મહિનાથી વીજ પુરવઠોના ધાંધિયા છે. ગામમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. આ સમસ્યા બાબતે ગ્રામજનો દ્વારા જેતપર સ્થિત પીજીવીસીએલમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ સમસ્યાનો ઉકેલ લાવવા પગલાં લેવાની વાત તો દૂર પણ સંતોષકારક જવાબ પણ આપવામાં આવતો નથી. હમણાંથી એવો જવાબ આપવામાં આવે છે કે વીજળી પડી છે. એટલે કનેક્શન કપાયું છે. તેમજ ફરિયાદ માટે ફોન કરવામાં આવે તો ફોન કાપી નાખે છે. અણિયારી ગામના લોકોએ જણાવ્યું કે રાત્રે 9-30 વાગ્યા આસપાસ થોડા યુવાનો દ્વારા જેતપર ડિવિઝન કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે અધિકારીઓ દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો હતો કે પહેલા બેલાના ફીડરનું કામ થશે, પછી અણિયારીનો વારો આવશે. તેમજ યુવાનોએ ફરિયાદ લખાવા માટે જણાવ્યું તો અધિકારીઓએ મોરબી ખાતેની કચેરીમાં જાઓ, તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો. આમ, અણીયાળી ગામના લોકો વીજ પુરવઠો ખોરવાવાની સમસ્યાના કારણે હાલાકી ભોગવી રહ્યા છે.